નવી દિલ્હી  

હાલ કોરોનાએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ખેલ જગત પણ આમાંથી બાકાત રહ્યું નથી. દિગ્ગજ ખેલાડીઓને પણ કોરોનાએ પોતાના ભરડામાં લીધા છે. હવે 4 ભારતીય બેડમિંટન ખેલાડીઓ પોઝિટીવ આવ્યા છે. પરુપલ્લી કશ્યપ, એચ.એસ. પ્રણય , આરએમવી ગુરુસાઇ દત્ત અને પ્રણવ જેરી ચાર ભારતીય બેડમિંટન ખેલાડીઓનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

આ તમામ બેડમિંટન ખેલાડીઓમાં કોરોના વાયરસના કોઈ લક્ષણો નથી. આ બધા ખેલાડીઓ 25 નવેમ્બરના રોજ, આરએમવી ગુરુસાઇદત્તના લગ્નમાં ગયા હતા. પરુપલ્લી કશ્યપ્ની પત્ની અને ભારતીય બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલ પણ આ લગ્નમાં જોડાઇ હતી.

કોરોના વાયરસ ટેસ્ટમાં પોઝિટીવ આવ્યા પછી, આ બધા ખેલાડીઓ ક્વોરન્ટાઇન થયા છે. ગોપીચંદ એકેડમીના એક સૂત્રે માહિતી શેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, એક ખેલાડીમાં કોવિડ -19ના સામાન્ય લક્ષણો દેખાયા પછી, તમામ ખેલાડીઓએ થોડા દિવસ પહેલા સાવચેતી તરીકે આરટી-પીસીઆર પરીક્ષણ કરાવ્યું હતું. જે બાદ આ ચાર ખેલાડીઓ પોઝિટીવ મળી આવ્યા હતા.

લગ્નમાં ભાગ લેનાર સાયના નેહવાલનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. આ ખેલાડીઓની આજે ફરી એકવાર તપાસ કરવામાં આવશે. ગુરુસાઇ દત્તના લગ્ન હોવાથી હાલ રજા પર છે. અન્ય બેડમિંટન ખેલાડીઓ પુલેલા ગોપીચંદ એકેડમીમાં તાલીમ લઈ રહ્યા હતા.

ગુરુસાઇ દત્તના લગ્નમાં ભાગ લેવા ઘણા બેડમિંટન ખેલાડીઓ પહોંચ્યા હતા. આ ખેલાડીઓએ તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ગુરુસાઇ દત્ત ના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ પહેલા હૈદરાબાદના નેશનલ બેડમિંટન શિબિરમાં ભાગ લેવા આવેલા એન સિક્કી રેડ્ડી પણ કોરોના ટેસ્ટમાં પોઝિટીવ આવી હતી. જો કે હવે તે સ્વસ્થ થઈને ફરીથી પરત ફરી છે.