આણંદ : આણંદ શહેર ભાજપ સંગઠન તથા યુવા મોરચા દ્વારા યુવાનોના આદર્શ તથા પ્રેરણાંસ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતી નિમિતે સ્વામીજીની પ્રતિમાને પૂષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ટાઉન હોલ પાસેથી ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ શહેરમાં સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતિ નિમિત્તે ભાજપ સંગઠન આયોજીત બાઈક રેલી આજે ટાઉન હોલથી પ્રસ્થાન કરી રેલવે ગોદી પાસે ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. આણંદ ટાઉન હોલ ખાતે આણંદના સાંસદ મિતેશ પટેલે બાઇક રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલે કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદના જન્મ દિવસ યુવા દિવસ આજે યુવાનોનો દિવસ છે. સ્વામી વિવેકાનંદ દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેઓએ યુવાનોને પ્રોત્સાહિત કર્યા છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તમે જે કામ નક્કી કરો તેની પાછળ લગનથી લાગેલા રહો અને કામ પૂર્ણ થાય ત્યાં સુધી મંડ્યા રહો. સફળતા અવશ્ય મળશે. સ્વામી વિવેકાનંદ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારો સમાન છે. સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્ર હતું અને વડાપ્રધાનનું નામ પણ નરેન્દ્ર છે. આ કાર્યક્રમમાં આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી નિરવભાઈ અમીન, મયુરભાઈ સુથાર, આણંદ શહેર પ્રમુખ મયુર પટેલ, મહામંત્રી સ્વપ્નિલ પટેલ, રાજેશ પઢીયાર, ઇંદ્રજીતભાઈ, વિજયભાઈ માસ્તર, પ્રજ્ઞેશભાઈ પટેલ, યુવા પ્રમુખ મૌલિક પટેલ(મુસા), સચિન પટેલ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.