વડોદરા, તા.૭

શહેરના માંજલપુર ગામ પાસે આવેલ મોનાલિસા કોમ્પલેક્સના સમન્વય સપ્તઋષિ એપાર્ટમેનટની તિરાડોનું સમારકામ કરતો ૩૦ વર્ષીય શ્રમજીવી લટકાવેલા દોરડાના ઝૂલાના પાટિયા ઉપરથી સમતુલન ગુમાવતાં નીચે પટકાતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. માંજલપુર પોલીસે આ બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ બનાવની વિગત અનુસાર ગોત્રી વિસ્તારમાં આવેલ રામા સ્કવેર કોમ્પલેક્સમાં રહેતો અને મૂળ રહેવાસી છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના ગઢભીખાપુરા ગામે રહેતો રાજુ સુખાભાઈ બારિયા (ઉં.વ.૩૦) અને તેનો પિતરાઈ ભાઈ રણજિત બારિયા બંને જણા માંજલપુર સ્થિત મોનાલિસા કોમ્પલેક્સ પાસે આવેલ સપ્તઋષિ એપાર્ટમેન્ટમાં તિરાડો પૂરવાનું સમારકામ અને કલરકામ કરી રહ્યા હતા. આ કામ માટે દોરડાનો ઝૂલો બનાવી તેના પર પાટિયા મુકી ઉપર બેસીને રાજુ બારિયા દીવાલની તિરાડો પૂરવાનું કામ કરતો હતો એ દરમિયાન તેને દોરડાના ઝૂલા પરના પાટિયા પરથી સમતુલન ગુમાવતાં તે નીચે પટકાયો હતો જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આકસ્મિક ઘટનાની જાણ માંજલપુર પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.