છેલ્લા થોડા મહિનાઓથી ભારતીય ફિલ્મ જગતમાંથી સતત ખરાબ ખબરો સામે આવી રહી છે. આ ખરાબ ખબરોનો દોર થોભવાનું નામ નથી લઈ રહ્યો. સુશાંત સિંહ રાજપૂત, આશુતોષ ભાકરે, મનજીત સિંહ બાદ વધુ એક સેલિબ્રિટીની આત્મહત્યાની ઘટના સામે આવી છે. ક્યોંકી સાસ ભી કભી બહુ થી સીરિયલમાં કામ કરી ચૂકેલા ટીવી એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરી લીધી હોવાની ખબર સામે આવી રહી છે. 44 વર્ષીય સમીર શર્માએ બુધવારે રાત્રે મલાડ પશ્ચિમ સ્થિત નેહા CHS બિલ્ડિંગમાં પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ રિપોર્ટ મુજબ સમીરે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું. નાઇટ ડ્યૂટી દરમિયાન ચોકીદારે સમીર શર્માના શવને લટકતું જોયું હતું. 

સબ ટીવીના શો આદત સે મજબૂર અને એન્ડ ટીવીના શો કુલદીપકમાં કામ કરી તૂકેલા અભિનેતા મનમીત ગ્રેવાલે 17 મેના રોજ પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. 32 વર્ષીય મનમીત પોતાની પત્ની સાથે નવી મુંબઈના ખારકર વિસ્તારમાં ભાડાના એક નાના ફ્લેટમાં રહેતો હતો. પહેલેથી દેવામાં ડૂબેલા અને આર્થિંક સંકડામણથી ઝઝૂમી રહેલા મનમીત ગ્રેવાલ લોકડાઉનને કારણે નાના-મોટા કામ પણ બંધ થઇ જવાથી પરેશાન હતો અને પોતાનું ઘરનું ભાડું આપવામાં પણ અસમર્થ હતો. તેને કારણે તે ડિપ્રેશનનો શિકાર થઇ ગયો હતો. 

અઠવાડિયા પહેલા જ મરાઠી એક્ટરે કરી હતી આત્મહત્યા

સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યામાંથી હજુ ફેન્સ સારી રીતે ઊભરી નથી શક્યા ત્યાં તો જાણીતા મરાઠી એક્ટર આશુતોષ ભાકરેએ આત્મહત્યા કરી લીધી હોવાની ખબરો સામે આવી હતી. મરાઠી એક્ટર આશુતોષ ભાકરેએ આત્મહત્યા કરી લીધી હતી. આશુતોષ 32 વર્ષનો હતો. તેણે કથિત રીતે નાંદેડ સ્થિત પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આશુતોષનું શવ નાંદેડ સ્થિત તેના બંગલામાં લટકેલી હાલતમાં મળી આવ્યું હતું. આશુતોષ 1 મહિના પહેલા નાંદેડ આવ્યો હતો.