રાજપીપળા

ગુજરાતના સિનિયર ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં લવ જેહાદનો કડક કાયદો બનાવવા મુખ્યમંત્રી રૂપાણીને રજુઆત કરી હતી.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ લવ જેહાદના મુદ્દા બાદ હવે ગરીબ આદીવાસીઓની છોકરીઓને વેચવામાં આવતી હોવાનો મુદ્દો ઉઠાવતા ખળભળાટ મચ્યો છે.

મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગરીબ પરિવારની છોકરીઓ જેમાં ખાસ કરીને આદીવાસી ગામડાની છોકરીઓને ગરીબાઈનો લાભ લઈ ગુજરાતમાં જ્યાં છોકરીઓની અછત છે ત્યાં વેચવામાં આવે છે.આ કાર્યો કરવા માટે પણ એક પ્રકારે મોટા પાયે એજન્ટોની ટીમ સક્રિય છે.તો ગરીબ આદીવાસી છોકરીઓને પ્રલોભન આપી આદીવાસી સમાજ માંથી વેચવામાં આવે છે, આના પર પણ રોક લગાવવા કાયદામાં જાેગવાઈ કરવા સરકારમાં મેં રજુઆત કરી છે.

તેમણે જણાવ્યું હતું કે હું છેલ્લા ૫ વર્ષથી સતત લવ જેહાદ અને આદીવાસી છોકરીઓ વેચાતી હોવા મુદ્દે રજુઆત કરતો આવ્યો છું.પણ આ મુદ્દાઓનો સોશિયલ મીડિયામાં ઉછાળવાથી હલ હલ નથી આવવાનો, એના માટે સમાજમાં જાગૃતિનું અભિયાન ચલાવવું પડશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હાલ પણ આદિવસીઓની છોકરીઓના કાઠિયાવાડ, મેહસાણા, અમદાવાદ સહીતના અન્ય વિસ્તારમાં લગ્ન કરાવી, લગ્ન કરાવનાર વચેટિયાઓ વર પક્ષ પાસેથી રીતસરનું કમિશન લેતા હોવાનું તથા આ કમિશનમાં યુવતીના માતા-પિતાને પણ અમુક હિસ્સો આપતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ભાજપ સાંસદના કાને આ વાત ચોક્કક્સ આવી હોવી જાેઈએ, એ જ કારણે એમણે આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હશે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં ઘણાં લવજેહાદના કિસ્સા બને છે તેથી તેની ચર્ચા થઇ રહી હતી.