મુંબઇ

ડિરેક્ટર રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ફિલ્મ સૂર્યવંશીની રાહ જોવાઈ રહી છે. હમણાં જ કેન્દ્રના થિયેટરને 100% ક્ષમતા સાથે ખોલવાના નિર્ણય બાદ માનવામાં આવી રહ્યુ છે કે મોટી ફિલ્મો હવે માર્કેટમાં આવશે. અત્યાર સુધી થિયેટરોને 50% ક્ષમતા સાથે ખોલવાની છૂટ આપેલી હતી. આવામાં સૂર્યવંશી ફેન્સ માટે ખુશખબર આવી રહી છે કે થોડા સમયમાં ફિલ્મ રિલીઝ થશે.

ખાનગી ચેનલના અહેવાલ અનુસાર આ ફિલ્મ 2 એપ્રિલ 2021ના રોજ રિલીઝ થશે. જો કે ફિલ્મની ડેટને લઈને આધિકારિક જાહેરાત નથી કરવામાં આવી. આવી સ્થિતિમાં હજી પણ ફિલ્મની રિલીઝ ડેટ અંગે શંકા છે. અહેવાલો અનુસાર ‘રોહિત શેટ્ટી થિયેટરના માલિકો સાથે ચર્ચામાં કરી રહ્યા છે. રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ સહ નિર્માતાઓ પણ આ વાતચીતોનો ભાગ છે. નિર્માતા ચુકવણી, વર્ચુઅલ પ્રિન્ટ ફી, આવકની વહેંચણી, થિયેટર અને ઓટીટીના રિલીઝ જેવા વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી રહ્યા છે. તેમને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં આ બાબતમાં પરિણામ આવશે.

સૂર્યવંશી ફિલ્મ 24 માર્ચ 2020એ રિલીઝ થવાની હતી. પરંતુ કોરોનાની મહામારીના કારણે તે શક્ય ના બન્યું. આવી સ્થિતિમાં હવે ફિલ્મની નવી રિલીઝ ડેટની ચર્ચા થઈ રહી છે. સ્પષ્ટપણે કહી શકાય નહીં કે આ ફિલ્મ થિયેટરોમાં કે ઓટીટી પર રજૂ થશે કે પછી બંને. ફિલ્મનું ટ્રેલર પણ 12 જાન્યુઆરી 2021ના ​​રોજ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થયું છે. સિંઘમ, સીમ્બા બાદ આ ફિલ્મ રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સમાં શામેલ થવા જઈ રહી છે. જેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે.