લખનૌ-

આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર ભીષણ રોડ અકસ્માત થયો છે. આ અકસ્માત ઉત્તર પ્રદેશના કન્નોજ જિલ્લાના તાલગ્રામ વિસ્તાર પાસે થયો છે. પૂરપાટ ઝડપે જતી એક કાર પાર્ક કરેલી ટ્રકમાં ઘૂસી ગઈ છે. આ રોડ અકસ્માતમાં કાર સવાર 6 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ કાર સવાર લખનૌથી મેહદીપુર બાલાજી દર્શન કરવા જઈ રહ્યા હતા. ઘટનાની માહિતી મળતા સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. પોલીસે આ અકસ્માતની તપાસ હાથ ધરી છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કન્નૌજમાં થયેલા રોડ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓને દુર્ઘટના સ્થળ પર રહેલા પીડિતોની મદદ કરવાના નિર્દેશ આપ્યા છે.