નર્મદા-

છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 38 સે.મી નો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 121.08 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 23,108 ક્યૂસેક પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં હાલ નજીવો વધારો નોંધાયો છે.

નર્મદા જિલ્લા આસપાસના જંગલ વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે અનેક નદી-નાળાઓ અને ધોધ છલકાયા છે. નાંદોદ તાલુકાના જૂના ઘાંટા ગામ ખાતે આવેલા ટકારા ધોધમાં ભરપૂર પાણી આવ્યું છે. જેને પગલે ધોધના આહલાદક દ્રશ્યો સર્જાયા છે. 

અત્યારે નર્મદા ડેમમાં 1413.66 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદા ડેમના 1200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ હાલ તો બંધ છે. જેનું કારણ છે કે, આ વર્ષે ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમ હજુ ભરાયા નથી.આ બંને ડેમ ભરાયા બાદ જ નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવશે. જો હાલ નર્મદા ડેમમાં આવતા નદી-નાળાઓના પાણીની વિપુલ પ્રમાણમાં આવક થતાં ડેમની સપાટીમાં વધારો જોવા મળ્યો છે.