આણંદ :  બ્લેક બોર્ડ, સફેદ ચોક, લંચ બોક્સ, સ્કૂલ બસ, એન્યૂઅલ ડે, સ્પોર્ટસ ડે તમને કદાચ અતિતરાગી બનાવી દેતાં આ શબ્દો જીવનનો સામાન્ય હિસ્સો લાગતાં હશે, પરંતુ સમાજના કેટલાંક વર્ગ માટે તે દુર્લભ છે. સ્કૂલનો ઉંબરો ઓળંગવાનું ચૂકી ગયેલાં બાળકો ઘણું બધું ગુમાવતા હોય છે, પરંતુ કેટલાંક એવાં લોકો છે જે આ સપનાને અધૂરાં રહેવા દેતાં નથી. 

આજે શિક્ષક દિવસે આવા જ એક શિક્ષણના ભેખધારી અને પોતાની જાતને છેલ્લાં ૧૮ વર્ષથી ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતાં પરિવારના બાળકો માટે ઘસી નાખનાર આણંદ નજીક ચિખોદરાના શિક્ષક નીતિનભાઈ પ્રજાપતિની આ વાત છે.

નીતિનભાઈ જેવા પરગજુ શિક્ષકને કારણે ગરીબ બાળકોનો શિક્ષણનો દીપક આજે પ્રજ્વલિત છે, તેમ કહેવું જરાંપણ અતિશયોક્તિ ભરેલું નથી. નીતિનભાઈ સીધી સાદી રીતે કોઈપણ બાળકને સહેલાઈથી મગજમાં ઊતરી જાય તેવી રીતે ભણાવે છે અને આ બધું તેઓ ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે કરે છે. અમીર અને મધ્યમ વર્ગનાં પરિવારના બાળકો તો સારી શાળામાં ભણતાં હોય છે, પરંતુ આ એવાં બાળકો છે, જેમને નથી કોઈ ભણાવનાર કે નથી ભણવાનું કહેનાર. આવાં બાળકો માટે દેવદૂત બનીને આવ્યા છે આ ગુરુજન.

ચિખોદરાના નીતિનભાઈ પ્રજાપતિના પિતા પણ શિક્ષક હતા. આદર્શવાદી અને આજીવન શિક્ષણને વરેલાં. એમની મહેચ્છા હતી કે, મારાં સંતાનો મારો શિક્ષણ વારસો ચાલું રાખે. નીતિનભાઈએ પોતે જાતે ઊભી કરેલી ખુલ્લી, ઉપર આભ અને નીચે ધરતી હોય એવી ફૂટપાથ શાળા શરૂ કરી પિતાજીની મહેચ્છા પૂરી કરી છે. અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે, જેમાં પિતૃઓને તર્પણ કરવાનું અનેરું મહત્વ છે. એટલું જ મહત્વ પોતાના માતા-પિતાની કોઈ અપેક્ષા હોય તો તે પૂરી કરવાનું છે. નીતિનભાઈના હયાત પિતાની ઈચ્છા સંતાનો શિક્ષણ સેવા આપે એવી છે. જે તેઓ ખુલ્લી શાળાના માધ્યમથી પૂરી કરી રહ્યાં છે.

નીતિનભાઈ કોઈ સરકારી કે ખાનગી ટ્રસ્ટ સંચાલિત શાળાના શિક્ષક તો છે નહિ. એટલે એમને એક પણ પૈસાનું વેતન મળતું નથી. છતાં તેઓ બારેમાસ પોતાની ખુલ્લી શાળામાં ગરીબ અને વંચિત પરિવારોના બહેરાં, મૂંગા, અંધ અને અપંગ બાળકોને પોતાની મૂડીની રકમ ખર્ચીને જાતે ભણાવે છે. શિક્ષક બનવા માટેની ઠરાવેલી લાયકાત પ્રમાણેની કોઈ ડિગ્રી તેમની પાસે નથી, પરંતુ તેઓ જાતે સર્જેલી અદભૂત પદ્ધતિ દ્વારા સ્પર્શથી, અનુભૂતિથી અંધ કે બહેરાં-મૂંગા બાળકો સરળતાથી સમજી શકે, ગ્રહણ કરી શકે એ રીતે ભણાવે છે.

પોતાના વ્યવસાયમાંથી સમય કાઢીને તેઓ સમાજના વંચિત બાળકોને, પગારદાર શિક્ષક કરતાં વધુ ધગશથી, સર્જનાત્મક અને રચનાત્મક અભિગમ રાખીને અસરકારક શિક્ષણ આપે છે અને જાણે કે બારે માસ પોતાના પિતાજીની મહેચ્છા પૂરી કરી પિતાજીનું ઋણ અદા કરે છે.

નીતિનભાઈ કહે છે કે, ગરીબ બાળકો ને ભણતરનો ભાર ન લાગે અને તેઓ સહજ અને સરળ રીતે શિક્ષણ મેળવે તે માટે મેં વિવિધ ફળ-ફુલો, શાકભાજી તેમજ વિવિધ આકારના ફ્લેશ કાર્ડ, ચાર્ટ અને ચિત્રોના માધ્યમથી એક સાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી શીખવવાનો નવતર અભિનવ પ્રયોગ કર્યો છે. જેનાં સકારાત્મક પરિણામ મળ્યાં છે અને ગરીબ બાળકોને ખુલ્લી શાળામાં અક્ષરજ્ઞાન મેળવી રહ્યાં છે. તેઓ અઠવાડિયામાં બે દિવસ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને વિસરાયેલી રમતો પણ રમાડે છે. એટલું જ નહીં બાળકોમાં સંસ્કારનું પણ સિંચન કરે છે.

મૂળ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વાગોસણાના વતની અને આણંદ નજીક ચિખોદરામાં રહેતાં નીતિનભાઈ પ્રજાપતિ હાડગુડ તાબેના પાતોડપૂરા, એકતાનગર સ્લમ વિસ્તાર અને ગામડી તાબેના ગામોટપુરાના ગરીબ પરિવારના અંદાજે ૪૦૦થી વધુ બાળકોને અઠવાડિયામાં બે દિવસ શિક્ષણ આપે છે.

તેમનાં આ સમાજ સેવાના ઉમદા કાર્યને અનેક સંસ્થોએ બિરદાવી તેમનું સન્માન પણ કર્યુ છે. નવાઈની વાત એ છે કે, આ કામગીરી માટે તેઓ કોઈ દાન લેતાં નથી, પરંતુ જાે કોઈ દાતા મળે તો બાળકો માટે શૈક્ષણિક સાધનો સીધા જ બાળકોને અપાવે છે. નીતિનભાઈ સરકારી શાળાઓ અને આઇટીઆઇના વિદ્યાર્થીઓને પણ અંગ્રેજીનું શિક્ષણ મફત આપે છે. આણંદમાં ગ્લોબલ લેન્ગવેજ સેન્ટર ચલાવતાં નીતિનભાઈ કહે છે કે, ચિખોદરાથી આણંદ આવતાં મેં રસ્તામાં જમીન ખોતરીને અક્ષરો લખતાં ગરીબ બાળકો જાેયાં અને મને આ બાળકોને ભણાવવાનો વિચાર આવ્યો અને આ શિક્ષણયજ્ઞ શરૂ થયો જે આજે પણ ચાલી રહ્યો છે. હાલમાં કોરોનાના મહામારીને કારણે શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે નીતિનભાઇ પણ ગરીબ બાળકોને સોશિયલ ડિસ્ટન્સ અને સાવચેતી-સલામતીના નિયમોના પાલન સાથે બાળકોને શિક્ષણનો સેવાયજ્ઞ ચલાવી રહ્યાં છે.

નીતિનભાઈ બાળકોને સ્વખર્ચે અલ્પાહાર, ચોકલેટ, ફળો વર્ગ પૂર્ણ થયાં બાદ નિયમિત આપે છે. ગરીબ અને શ્રમજીવી વર્ગના બાળકો પણ નીતિનભાઈની કાગડોળે રાહ જૂએ છે. ચાણક્યે કહ્યું હતું કે, શિક્ષક કભી સાધારણ નહિ હોતા. નીતિનભાઈની આ સ્વૈચ્છિક શિક્ષણ સેવાને મુલવવી હોય તો કહી શકાય કે શિક્ષક અસાધારણ હોતા હૈ ઔર તપસ્વી હોતા હૈ.