અમદાવાદ-

એકતરફ કોરોના વાયરસનું સંક્રમણ અને બીજી તરફ અમદાવાદમાં તંત્ર દ્વારા લાદવામાં આવેલ કરફ્યુ. આ બધાની વચ્ચે CAની પરીક્ષા લેવાઈ રહી છે. અમદાવાદમાં 19 સેન્ટર પર અંદાજે 2500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. જોકે, આ પરીક્ષામાં ઇતિહાસમાં પ્રથમવાર OPT OUT ઓપશન આપવામાં આવ્યો છે. જેમાં આ વખતે જો કોઈ કારણસર વિદ્યાર્થી પરીક્ષા ન આપી શકે તો તે વિદ્યાર્થી OPT OUT ઓપશન લઈ જાન્યુઆરી 2021માં પરીક્ષા આપી શકશે. કોવિડ 19ના કારણે માત્ર CA જ નહીં અનેક પરિક્ષાઓનું શિડયુલ ખોરવાઈ ચૂક્યું છે. ગત મે માસમાં યોજાનારી CAની પરીક્ષા જુનમાં અને ત્યારબાદ જુનમાં યોજાનારી પરીક્ષા મોકૂફ રહી. જોકે ,આખરે 21 નવેમ્બરની તારીખ જાહેર થઈ. પરંતુ બે દિવસ અગાઉ જ કોરોનાના વધતા કેસના કારણે અમદાવાદમાં 60 કલાક માટે કરફ્યુ લાદવામાં આવ્યો. 

જેના લીધે ફરી વિદ્યાર્થીઓ અસમંજસમાં હતા કે CA ની પરીક્ષા યોજાશે કે નહીં. અને આખરે અમદાવાદમાં કરફ્યુ વચ્ચે પણ CAની પરીક્ષા લેવામાં આવી. દેશભરમાંથી 4.7 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.  ICAI ના અમદાવાદના ચેરમેન ફેનીલ શાહે જણાવ્યું કે, સામાન્ય રીતે અમદાવાદમાં દસ કેન્દ્ર હોય છે. તેની જગ્યાએ આ વખતે 19 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ રહી છે. જેથી કોવિડ 19ની ગાઈડ લાઈનનું પાલન થઈ શકે. આ વખતે COVID-19ની કોઈ અસરને લીધે જ વિદ્યાર્થીઓને, આઇસીએઆઈએ જાહેરાત દ્વારા સુવિધા આપી છે જેમાં વિદ્યાર્થી પરીક્ષાના અંતિમ દિવસ સુધી ગમે ત્યારે બહાર [OPT OUT] નીકળી શકે છે અને આગામી પરીક્ષા જાન્યુઆરી 2021માં યોજાવાની છે ત્યારે હાજર રહી શકે છે. 

OPT OUT માટે વિદ્યાર્થીએ ઓનલાઇન જાણ કરવાની રહેશે અને આ સુવિધા ICAI દ્વારા ઈતિહાસમાં પ્રથમવાર આપી છે. માત્ર CA ફાઇનલના વિદ્યાર્થીઓ જ નહીં ઇન્ટર મિડીએટના વિદ્યાર્થીઓ પણ આ ઓપશન લઈ શકે છે. ધારો કે, કોઈ વિદ્યાર્થી અધ્ધ વચ્ચે સંક્રમિત થાય છે તો પણ તે આ ઓપશનનો લાભ લઇ શકે છે.