ગાંધીનગર-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર સહિતના વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કરવાના છે. આ પ્રસંગે ગાંધીનગરથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય રેલવે મંત્રી, કેન્દ્રીય રાજ્ય મંત્રી જોડાશે. જ્યારે અમદાવાદથી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જોડાશે. આ કાર્યક્રમ અંગે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૬ જુલાઈએ નવી દિલ્હીથી વર્ચ્યૂઅલ માધ્યમથી અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. જેમાં ગાંધીનગરના નવીનીકરણ પામેલા અદ્યતન રેલવે સ્ટેશન તેમજ સાયન્સ સિટીમાં રુ. ૨૬૪ કરોડના ખર્ચે તૈયાર થયેલી એક્વાટિક ગેલેરી, રૂ. ૧૨૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલી રોબોટિક ગેલેરી તેમજ ૧૪ કરોડના ખર્ચે આકાર પામેલા નેચર પાર્કનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન ગાંધીનગરને વારાણસી સાથે જોડતી નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનનો વર્ચ્યૂઅલ પ્રસ્થાન સંકેત આપી પ્રારંભ કરાવશે. આ ઉપરાંત સુરેન્દ્રનગર-પીપાવાવ ૨૬૬ કિ. મી. રેલવે ઈલેક્ટ્રીફિકેશન કામગીરીનું પણ લોકાર્પણ કરાશે. તદુપરાંત મહેસાણા- વરેઠા ઈલેક્ટ્રીફાઈડ બ્રોડગેજ લાઈનનો પણ શુભારંભ કરાવશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વીડિયો કોન્ફરન્સથી આ કાર્યક્રમોમાં જોડાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી-નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યમંત્રી દર્શનાબહેન જરદોશ અને ગુજરાત મંત્રીમંડળના મંત્રીઓ ગાંધીનગરમાં આ કાર્યક્રમો ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેશે. જ્યારે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ ખાતેથી આ કાર્યક્રમમાં જોડાશે. આ અંગેની જરૂરી વ્યવસ્થા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા-બેઠક યોજાઈ હતી. સમીક્ષા બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને સુચાર આયોજન માટે તાકીદ કરી હતી.