ભરૂચ, ભરૂચના જંબુસર તાલુકાનાં વિવિધ ગામોમાં દાંડી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાઈવારના રોજ દાંડી યાત્રામાં મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને રાજ્યના મંત્રી વિભાવરી દવે પણ જાેડાયા હતા દાંડીયાત્રાના દસમા દિવસે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કોંગકમ સંગમા અને મહિલા બાળવિકાસ વિભાગના રાજયમંત્રી વિભાવરી દવેએ દાંડી યાત્રાને જંબુસર તાલુકાના કારેલી ગામથી ગજેરા ગામ તરફ પ્રસ્થાન કરાવ્યા બાદ પદયાત્રામાં સહભાગી થઈ યાત્રિકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. બંને મહાનુભાવોએ કારેલી યાત્રીનિવાસ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પો અર્પણ કર્યા હતા. કોનરાડ સંગમાએ કારેલીથી ગજેરા સુધી ૧૮ કિલોમીટર પદયાત્રા કરી હતી. પિલુદ્રા, વેડચ અને ગજેરા ગામે દાંડીપથિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પા પટેલ જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા . મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે વર્ષ ૧૯૩૦માં ૮૦ પદયાત્રીઓથી શરૂ થયેલી દાંડીયાત્રા બાદમાં આઝાદીનો માર્ગ કંડારનારી કેડી બની. જે બાદમાં સંપૂર્ણ ભારતમાં ચેતના જગાવવામાં નિમિત્ત બની, જ્યારે આજની દાંડીયાત્રા દેશનું ગૌરવ વધારનારી અને આઝાદીના ઘડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપવાનું સબળ માધ્યમ બની છે. દેશની આઝાદીના ૭પ વર્ષ નિમિત્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના અવસરે રાજ્ય સરકારે યોજેલી દાંડીયાત્રાના ગૌરવશાળી ઈતિહાસને પુનઃ ઉજાગર કરવાનાં ભાગરૂપે દાંડી યાત્રા જંબુસર તાલુકાના ગજેરા ગામે આવી પહોંચી હતી.