આણંદ : વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ત્રીજા અને પાંચમા સેમિસ્ટર સહિત અનુસ્નાતક ડિપાર્ટમેન્ટની આંતરિક પરીક્ષા આગામી ૨૯મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ તમામ પરીક્ષાઓ ઓનલાઇન લેવામાં આવશે.  

આ અંગે વાત કરતાં વાઇસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા અંત્તિમ વર્ષ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓનું સફળતાપૂર્વક આયોજન કર્યા બાદ હવે આંતરિક પરીક્ષા લેવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ આગામી ૨૯મી સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે. અત્યારે મોટાભાગની કોલેજ અને ડિપાર્ટમેન્ટ દ્વારા ઓનલાઇન શૈક્ષણિક કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ પણ એલર્ટ રહે તે માટે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાનો સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઇટ પર સત્તાવાર રીતે જાહેર કરાશે. બીજી તરફ અનુસ્નાતક કક્ષાના એમએ, એમકોમ સહિતના બીજા અને ચોથા સેમિસ્ટરની પરીક્ષાઓ આગામી ૫મી ઓક્ટોબરના રોજ યોજાશે.