નર્મદા-

ઉપરવાસમાં ભારે વરસાદ અને મધ્યપ્રદેશના તમામ ડેમ ઓવરફ્લો થતાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 1થી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે, તેવી નર્મદા નિગમે જાહેરાત કરી હતી. જાેકે હજી સુધી પાણી છોડાયુ નથી. નર્મદા ડેમમાં હાલ 96,483 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જે સાંજ સુધીમાં વધી જશે. નર્મદા ડેમની સપાટી હાલ વધીને 129.60 મીટર ઉપર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 2.5 મીટરનો વધારો થયો છે.

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સતત 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા નદી કાંઠાના ભરૂચ અને નર્મદા જિલ્લાના 30 જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. નર્મદા ડેમના દરવાજા લાગ્યા બાદ ડેમને 138.68 મીટર સુધી ભરી શકાય છે. જાેકે નર્મદા ડેમની જળ સપાટી વધતા ઘણા દિવસોથી બંધ 1200 મેગાવોટ વીજ ક્ષમતાના રિવર બેડ પાવર હાઉસનું એક યુનિટ શરૂ કરવામાં આવ્યું છે અને રિવર બેડ પાવર હાઉસ ચાલુ કરવામાં આવતા 50 હજારથી વધુ પાણી નર્મદા નદીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં 3130 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો જમા થયો છે.