વડોદરા, તા.૨૨

શહેરના ગોત્રી વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર સોાસયટીમાં ઘરની ગેસલાઈન લીકેજ થવાના કારણે બનેલા આગના બનાવમાં દાઝેલા માતા-પુત્ર પૈકી ત્રણ વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે માતાની હાલત નાજુક હોવાનું તબીબીસૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

આ બનાવની વિગત મુજબ ગઈકાલે રાત્રિના સમયે ગોત્રી વિસ્તારમાં આવેલ ગાયત્રી સ્કૂલ નજીક ચંદ્રમૌલેશ્વર સોસાયટીના એક મકાનમાં ગેસની લાઈનમાંથી ગેસ લીકેજ થઈ રહ્યો હતો. જેના કારણે વીજ લાઈટની સ્વીચ ચાલુ કરતાં જ ઘરમાં ગેસનો ફેલાવો થવાથી આગ ભભૂકી ઊઠી હતી. આ બનાવમાં ઘરમાં હાજર નયનાબેન ઉમંગભાઈ બારોટ (ઉં.વ.રર) અને પુત્ર મિવાન ઉમંગભાઈ બારોટ (ઉં.વ.૩) દાઝી ગયાં હતાં. આ બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન માસૂમ પુત્ર મિવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે માતાની હાલત નાજુક હોવાનું તબીબીસૂત્રો દ્વારા જાણવા મળે છે.