ગાંધીનગર

કોરોના કાળ વચ્ચે વધુ એક આફત આવતી અટકી છે...પહેલા ગુજરાતમાં વાવાઝોડુ આવવાના એંધાણ વચ્ચે સૌરાષ્ટ્રમાં એલર્ટ કરવામાં આવ્યુ હતુ. પરંતુ હવે એક રાહતનાં સમાચાર આવ્યા છે. ખાનગી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે તૌકતે વાવાઝોડાએ પોતાની દિશા બદલી છે. હવે વાવાઝોડું કેરળ દરિયાકાંઠે વળવાનાં એંધાણ જોવા મળી રહ્યાં છે, સાથે જ હવામાન વિભાગની વેબસાઈટ સ્કાયમેટનો દાવો છે કે હવે ગુજરાતમાં વાવઝોડાનો કોઈ ખતરો નથી. બીજી તરફ ગઈકાલે ભારત હવામાન વિભાગે આગાહી કરી છે કે તૌકતે વાવાઝોડું આગામી 17મી મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પહોંચે એવી સંભાવના છે.

સૌરાષ્ટ્ર ઝોનના 14 જેટલા જિલ્લાઓને આ વાવાઝોડાની અસર થાય એવી શક્યતાને ધ્યાને રાખીને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોઈ પ્રકારની જાન કે માલહાનિ ન થાય કે કોઈ નુકસાન ન થાય એ માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના વહીવટીતંત્રને સતર્ક રહેવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજ્યનું વહીવટી તંત્ર આ વાવાઝોડા સામે સંપૂર્ણ રીતે સજ્જ છે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે.