વડોદરા, તા.૨૫

વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે છાણી કેનાલ રોડ થી નવા યાર્ડ વિસ્તારમાં આવેલા ૪૦ થી વધુ ઝૂંપડા તથા એક ધાર્મિક સ્થાન ની આજુબાજુમાં કરેલા બાંધકામ હટાવવાની કામગીરી કરવામાં આવતા દબાણ શાખાની ટીમ અને સ્થાનિક રહીશો વચ્ચે ચકમક ઝરી હતી.દબાણ હટાવવાની મેયર કેયૂર રોકડિયાની હાજરીમાં કાર્યવાહી થઈ હતી. જાે કે, બેઘર બનેલા ઝૂંપડાવાસીઓમાંથી એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા ક્ષણીક વાતાવરણ તંગ થઈ ગયું હતું. પોલીસ તથા મ્યુનિ. દબાણ હટાવો વિભાગના સ્ટાફે તરત મહિલા પાસેથી માચીસ છીનવી લીધી હતી.અને ઝુપડા, શેડ સહિતના દબાણો તોડી પાડ્યા હતા.

 કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ઢોર વાડાના ગેરકાયદે દબાણો તેમજ રસ્તાને નડતરરૂપ હોય તેવા હંગામી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કોર્પોરેશનની દબાણ શાખા ની ટીમ તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ દ્વારા દબાણ હટાવોની કામગીરી આજે છાણી વિસ્તારમાં શમશેરા ફ્લેટ પાસે થી પસાર થતી નર્મદા કેનાલની આસપાસના ગ્રીનબેલ્ટના પ્લોટોમાં ગેરકાયદે રીતે છેલ્લા ૨૭ વર્ષથી મંદિર બાંધીને તેની આડમાં ગોડાઉન તેમજ પુજારીની રૂમ વગેરે બાંધકામ કરી દઈ અને આજુબાજુના ગરીબ લોકો પાસેથી ભાડું ઉઘરાવનાર વ્યક્તિ સામે કોર્પોરેશનને કાર્યવાહી કરી મંદિર સિવાયના આજુબાજુના ગેરકાયદે દબાણો તોડી પાડ્યા હતા. સાથે સાથે નર્મદા કેનાલની આજુબાજુમાં ગેરકાયદે બંધાયેલા ૨૭ થી વધુ ઝુપડા ૧૫ જેટલા શેડ તેમજ ફૂટપાથ પર કરાયેલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.

કામગીરી દરમિયાન મેયર અને સયાજીગંજના ધારાસભ્ય જાતે ઉપસ્થિત રહ્યા હતા.અને કહ્યુ હતુ કે, વિસ્તારના રહીશોની અવાર નવાર આ અંગેની રજૂઆત હતી જેને લઈને પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ઘરી ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા છે. સાથે સાથે પૂર્વ કોર્પોરેટરે વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે અનેક વર્ષથી એક વ્યક્તિએ મંદિરની આડમાં આજુબાજુની કોર્પોરેશનની જમીન પર કબજાે જમાવી દઈ ગેરકાયદે બાંધકામ કરી દઈ ધંધો કરતા હતા અને ગરીબો પાસેથી ભાડું પણ વસૂલ કરવામાં આવતું હતું તેવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.