નવી દિલ્હી, તા.૨૮ 

ભારતનો પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ ૨૦૦૭ ટી‌-૨૦ વર્લ્ડ કપ અને ૨૦૧૩ ચેમ્પિયન્સ ટ્રોફી, બંને વખતે વિનિંગ ઇન્ડિયન ટીમનો ભાગ હતો. તેણે કહ્યું કે, આ ૬ વર્ષ દરમિયાન મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન તરીકે ખૂબ બદલાઈ ગયો હતો. પઠાણે સ્ટાર સ્પોટ્‌ર્સના ક્રિકેટ કનેક્ટેડ શોમાં કહ્યું કે, ધોની નવો નવો કેપ્ટન બન્યો ત્યારે બહુ જલ્દી ઉત્સાહિત થઈ જતો હતો. જ્યારે તમને પહેલી વખત ટીમને લીડ કરવાની જવાબદારી મળે, ત્યારે આવું થવું સ્વાભાવિક છે. પઠાણે કહ્યું કે, ૨૦૦૭ હોય કે ૨૦૧૩ ટીમ મીટિંગ હંમેશા નાની રહેતી હતી. પાંચ મિનિટમાં મીટિંગ સમાપ્ત થઈ જતી હતી. એક વસ્તુ જે બદલાઈ એ તે છે કે, ૨૦૦૭માં ધોની સ્ટમ્પ પાછળથી દોડીને બોલરને કંટ્રોલ કરવા જતો હતો. જ્યારે ૨૦૧૩ સુધીમાં તે બહુ શાંત થઈ ગયો હતો અને બોલર પોતે પોતાને કંટ્રોલ કરે તેની છૂટ આપતો હતો. તે આ ૬ વર્ષમાં પોતાના અનુભવથી સ્પિનર્સ અને સ્લો બોલર્સ પર ભરોસો કરતા શીખ્યો હતો. તેમજ ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તેણે નક્કી કર્યું હતું કે, મહત્વની ઘડીએ મેચ જીતવા સ્પિનર્સને આપશે.