પુણે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે સીરીઝની બીજી વનડે મેચ રમાશે. બન્ને દેશો વચ્ચે ત્રણ મેચોની સીરીઝ પુણે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. પ્રથમ વનડેમાં ભારતીય ટીમે જબરદસ્ત રીતે મહેમાન ટીમને ૬૬ રનોથી હાર આપી હતી, સીરીઝમાં ભારતીય ટીમે ૧-૦થી લીડ બનાવી છે. આજે ભારત સીરીઝ કબજે કરવાના ઇરાદે મેદાનમાં ઉતરશે તો ઇંગ્લેન્ડ ટીમ સીરીઝમાં બરાબરી કરવાના જીતના ઇરાદે મેદાનમાં ઉતરશે. 

પ્રથમ વનડેમાં ટૉસ જીતીને ઇંગ્લેન્ડની ટીમે ભારતીય ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. ભારત તરફથી ૫૦ ઓવર રમીને ૩૧૭ રનોનો જંગી સ્કૉર ઉભો કરી દેવામાં આવ્યો હતો. જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ માત્ર ૨૫૧ રનમાં જ ઓલઆઉટ થઇ જતા ટીમ ઇન્ડિયાએ મેચને ૬૬ રનથી જીતી લીધી હતી. મેચમાં સૌથી વધુ શિખર ધવને ૯૮ રનની દમદાર ઇનિંગ રમી હતી. 

ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે બીજી વનડે મેચ આજે રમાશે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમયાનુસાર મેચ બપોરે ૧:૩૦ વાગ્યાથી શરૂ થશે. જ્યારે ટૉસ ૧:૦૦ વાગે થશે.

આઇપીએલમાં શાનદાર ફોર્મ બતાવીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા સૂર્યકુમાર યાદવને ભારતીય ટીમ તરફથી વનડે મેચોમાં ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે. ઇજાગ્રસ્ત શ્રેયસ અય્યરની જગ્યાએ સૂર્યકુમાર યાદવ મીડિલ ઓર્ડરમાં બેટિંગની જવાબદારી સંભાળી શકે છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં ફિલ્ડિંગ દરમિયાન શ્રેયસ અય્યર ગ્રાઉન્ડ પર જ ફિલ્ડિંગ કરવા જતા ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. બાદમાં તે મેદાન પર પરત ફરી શક્યો ન હતો. અય્યરની ઇજા ગંભીર છે. બીસીસીઆઇએ પણ જાહેરાત કી દીધી છે કે શ્રેયસ અય્યર ઇંગ્લેન્ડ સામેની બાકીની બન્ને મેચો એટલે કે સીરીઝમાંથી બહાર રહેશે.

ભારતીય ટીમ- 

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), શિખર ધવન, શુભમન ગીલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, વૉશિંગટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધિ ક્રિષ્ણા, શાર્દૂલ ઠાકુર.

ઇંગ્લેન્ડ ટીમ-

ઇયૉન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જૉની બેયરસ્ર્ટો, સેમ બિલિંગ્સ, જૉસ બટલર, સેમ કરન, ટૉમ કરન, લિયામ લિવિંગસ્ટૉન, મેટ પાર્કિંસન, આદિલ રશિદ, જેસન રૉય, બેન સ્ટૉક્સ, રીસ ટૉપલે, માર્ક વૂડ, જેક બૉલ, ક્રિસ જૉર્ડન, ડેવિડ મલાન.