વડોદરા

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે ધોલેરા સર ખાતેના ૭૦૦ મેગાવોટ સોલર પાર્ક અને રાસનેસડામાં ૧૦૦ મેગાવોટ સોલર પ્રોજેક્ટના પીપીએમાં ફેરફારનો વિવાદ આગળ ધપ્યો છે. બીજી તરફ કેન્દ્રિય ઊર્જા મંત્રાલયના સંયુક્ત સચિવ અમિતેશ કુમાર સિંહાએ જણાવ્યું છેકે, જીયુવીએનએલ અને સોલર પાવર ડેવલપર્સ વચ્ચેના આ વિવાદના પગલે પુનઃ પ્રાપ્ય ઊર્જા બજારમાં ચોક્કસ પણ કેટલીક મુશ્કેલી ઉભી થઇ છે. જાેકે ગુજરાત રાજ્ય સાથે પ્રારંભિક ચર્ચા કરીને અમે આ મુદ્દો ઉકેલવા માટે વધુ પ્રયત્નશીલ છીએ. ઉલ્લેખનીય છેકે, ચાર સોલર વીજ કંપનીઓ રિન્યુ પાવર , ટાટા પાવર, સીઓ અને સરકારી કંપની એસજેવીએનએલને પ્રતિ યુનિટના રૃ. ૨.૮૧ના ભાવે વીજળી ખરીદવા ગત વર્ષે વિધિવત કરાર થયા હતા.

જાેકે હાલના કરારને રદ કરીને સસ્તી વીજળી મેળવવા માટેની જીયુવીએનએલની કાર્યવાહીનો વિરોધ સોલર કંપનીઓએ કર્યો છે. અગાઉ આંધ્રપ્રદેશમાં પણ જુની સરકારના પીપીએમાં ફેરફારનો વિવાદ ઉઠ્‌યો હતો.

જીયુવીએનએલના આ પગલાંથી દેશની પુનઃ પ્રાપ્ય ઊર્જા ઇન્ડસ્ટ્રીના રોકાણકારોમાં તીવ્ર પડઘા પડ્યા છે. જાે કરારની પવિત્રતાનો ભંગ કરવામાં આવશે તો ભારતની પુનઃ પ્રાપ્ય ઊર્જા વિકાસની ગતિને અસર પાડશે.

જીયુવીએનએલએ હવે ગુજરાત વિદ્યુત નિયમન પંચ સમક્ષ એવી અપીલ કરી છેકે, ઊંચા ભાવની સોલર ખરીદીના કરારને રદ કરવા મંજૂરી આપો. સપ્ટેમ્બરમાં બીડ મંજૂર કરવામાં આવ્યા બાદ જીયુવીએનએલને પ્રતિ યુનિટ રૃ.૧.૯૯ના ભાવે સોલર વીજળી ઉપલબ્ધ થઇ છે તેથી હવે કરારમાં ફેરફાર કરવા જરૃરી છે. ઉલ્લેખનીય છેકે, બીજી વાર જીયુવીએનએલે આ બીડ રદ કર્યા છે.