આણંદ, તા.૨૭ 

આણંદ જિલ્લાના પશુપાલકોને પોતાના પશુઓની ઝડપથી સારવાર મળી રહે તે માટે જિલ્લામાં ૪ મોબાઈલ પશુ દવાખાનાની એમ્બ્યૂલન્સ ફાળવવામાં આવી છે, જે પૈકી બે એમ્બ્યૂલન્સને સાંસદ મિતેશભાઈ પટેલે કલેક્ટર આર.જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર, નગર પાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં કાર્યરત કરવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે, રાજ્ય કક્ષાએથી ૧૦૮ જેટલી પશુ સારવાર ખાતેની એમ્બ્યુલન્સ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના શુભ હસ્તે રાજ્યભરમાં રવાના કરવામાં આવી હતી. જે પૈકી આણંદ જિલ્લામાં પશુઓની સારવાર માટે ૪ મોબાઈલ એમ્બ્યૂલન્સ ફાળવવામાં આવી છે. 

સાંસદ મિતેષ પટેલે જણાવ્યું હતું કે, ૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનાં કારણે પશુ પાલકો ૧૯૬૨ પર કોલ કરી પોતાના પશુની નિઃશુલ્ક સારવાર કરાવી શકશે. પશુનું સ્વાસ્થ્ય સારું રહેશે અને પશુપાલકો આવકમાં વધારો કરી શકશે. 

સાંસદએ ઉમેર્યું કે, રાજ્ય સરકારની આ યોજના મારફતે નિઃશુલ્ક પશુ સારવાર સેવાઓ વર્ષના ૩૬૫ દિવસ સવારે ૭ થી રાત્રે ૭  દરમિયાન પશુપાલકોને ગામ બેઠાં ઉપલબ્ધ થશે. આ તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી મુખ્યમંત્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રિઅલ ટાઇમ મોનિટરિંગ પણ કરવામાં આવશે.

સાંસદે વધુમાં જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં અમૂલ ડેરી હોવાથી અહીં વધુ પ્રમાણમાં લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેથી પશુપાલકોને મોબાઈલ પશુ દવાખાનની સેવાનો લાભ મોટા પ્રમાણમાં મળી રહેશે.

જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલે જણાવ્યું હતું કે, જેમ માનવ આરોગ્યની ત્વરિત સારવાર માટે ૧૦૮ની સેવાઓ હાલમાં કાર્યરત છે, તેવી જ રીતે પશુ પાલકો માટે ૧૯૬૨ ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી વિના મૂલ્યે ગામમાં બેઠાં પશુની સારવાર માટે મોબાઈલ પશુ દવાખાનની સેવા મળી રહેશે, જેથી આ સેવા પશુપાલકો માટે આશીર્વાદ રૂપ બની રહેશે.

તેઓએે ઉમેર્યું હતું કે, આણંદ જિલ્લો ડેરી ઉદ્યોગનું કેન્દ્ર ગણાય છે અને અહીં લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે જેથી નિઃશુલ્ક મોબાઈલ પશુ દવાખાનની સેવાનો લાભ તેઓને મોટા પ્રમાણમાં મળશે. પશુ પાલકોને હવે પોતાના પશુઓને દવાખાના સુધી લાવવા અને લઈ જવામાં જે મુશ્કેલીઓ પડી રહી હતી તે હવે નહીં પડે અને પોતાના ઘરે બેઠાં મોબાઈલ પશુ દવાખાનની સેવાથી પશુઓની સારવાર કરાવી શકશે, જેથી પશુઓના મૃત્યુમાં પણ ઘટાડો થશે અને પશુ પાલકોની આવકમાં વધારો થશે.  

આ પ્રસંગે આણંદ જિલ્લાના પશુપાલન અધિકારી સ્નેહલ પટેલ, મદદનીશ પશુ પાલન અધિકારી ડા. બી.એમ. ફુલવાણી, ડા. મેહુલ પટેલ, ડા. દિપક મનાત,  પ્રોજેક્ટ ઈન્ચાર્જ જૈમિન દવે, વેટનરી ડા. એ.સાઈશ્રી, વેટનરી ડા. કોમલબેન, પાઈલોટ હરેશભાઈ ગોહિલ, પાઈલોટ ગણપતાભાઈ રાઠોડ, ડા.પ્રિયા પટેલ, દિલીપભાઈ ઉપસ્થિત રહ્યા હતા.