દિલ્હી-

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ મદન લોકુરે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે ઘડેલો લવ જિહાદ કાયદો માનવ અધિકારોનો ભંગ કરતો હતો. તેમણે કહ્યું કે આ કાયદો કમનસીબ ગણાય.

એક લેક્ચર દરમિયાન તેમણે કહ્યું કે આ કાયદો જીવનસાથી પસંદ કરવાના અધિકારનો ભંગ કરતો હતો. ઉત્તર પ્રદેશની સરકારે એવો દાવો કર્યો હતો કે હિન્દુ જેવો પોષાક અને નામ અપનાવીને હિન્દુ યુવતીને ભોળવીને લગ્ન કર્યા બાદ એને ધર્માંતર કરવાની ફરજ પાડવાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા હતા માટે આ કાયદો ઘડવાની ફરજ પડી હતી. ઉત્તર પ્રદેશના પગલે હરિયાણા અને મધ્ય પ્રદેશની ભાજપ શાસિત રાજ્ય સરકારો પણ આવો કાયદો ઘડવાની વાત કરી રહ્યાં હતાં.  

જસ્ટિસ લોકુરે કહ્યું કે 2018માં સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલા હાદિયા કેસના આદેશનું શું થયું . સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે એક યુવતી પોતાની પસંદગીના યુવક સાથે પરણી શકે છે અને સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરી શકે છે. લવ જિહાદનો કાયદો ઘડતી વખતે સુપ્રીમ કોર્ટના આ આદેશનું પણ ઉલ્લંઘન થતું હતું એમ તેમણે કહ્યું હતું.

છળકપટથી, દગાબાજીથી કોઇ યુવતીને પટાવીને એની સાથે લગ્ન કર્યા બાદ એને ધર્માંતર કરવાની ફરજ પાડવાની ઘટનાઓને ઉત્તર પ્રદેશની સરકારે લવ જિહાદ સમાન ગણાવી હતી. છેલ્લા થોડા સમયથી આવી ઘટનાઓ વધી હતી.