વડોદરા -

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે, ભારતના ચૂંટણીપંચે આજે ૧૪૭ કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજવાની કરેલી જાહેરાતના અનુસંધાને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને પૂર્વ તૈયારીઓ સહિત વિવિધ બાબતોનું વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તમામ સંબંધિત અધિકારીઓને કરજણ વિધાનસભા ક્ષેત્રમાં આદર્શ આચારસંહિતાનું ચૂસ્તપણે પાલન કરાવવા સૂચના આપવાની સાથે જરૂરી તમામ તકેદારી રાખવા ખાસ અનુરોધ કર્યો હતો.

તેમણે હાલમાં કૉવીડની પરિસ્થિતિને અનુલક્ષીને ચૂંટણી પંચ જે માર્ગદર્શિકા જાહેર કરે એના પાલન માટે સજ્જ રહેવા જણાવ્યું હતું. તેમણે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આર.પી.જોષી, આદર્શ આચારસંહિતા અમલીકરણના નોડલ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી.બી.ચૌધરી, આ બેઠકના ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર સહ પ્રાંત અધિકારી, કરજણ અને સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો.આ બેઠકની ચૂંટણી કરાવવા માટે ભારતના ચૂંટણીપંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે બેઠકના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, કરજણ દ્વારા તા.૯મી ઓક્ટોબરના રોજ આ વિધાનસભા મતદાર ક્ષેત્રની ચૂંટણી યોજવાના જાહેરનામાની વિધિવત પ્રસિદ્ધિ સાથે, ઉમેદવારી પત્રો સ્વીકારવા સહિતની ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે.