વાંસદા.તા.૨૯ 

વાંસદાના ઉનાઈ ચરવીની ગામની આદિમજૂથ પરિવારની પરણિત મહિલા આજથી દસ મહિના પૂર્વે ઘરેથી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. લાંબા સમયથી આ મહિલાની શોધખોળ બાદ પણ આ મહિલાની ભાળ મળી નહતી.અચાનક જ આ નાના ત્રણ સંતાનોની માતા અને માનસિક સંતુલન ઠીક નહિ હોય એવી આ મહિલા તામિલનાડુમાં હોવાનું સોસીયલ મીડિયામાં વીડિયો ફરતો થયો હતો.જેની જાણકારી આ ગરીબ પરિવારને મળતા ખુશી તો જોવા મળી પરંતુ હવે પરિવારની આ પુત્રીને તામિલનાડુથી કઈ રીતે ઘરે પરત લાવવી એ ચિંતા પણ જેવા મળી હતી.

ઉનાઈ-ચરવી ની આદિમજુથ પરિવારની મહિલા અરુણાબેન ગનાજીબાઈ કોટવાડિયા અંદાજીત ઉ.વ.૩૬ કે જે તેના પરિવાર સાથે રહેતી હતી.તેનું માનસિક સંતુલન ઠીક નહોય તે મહિલા ઉનાઈ ગામ ખાતે અવારનવાર બજાર વિસ્તારમાં ફરતી જોવા પણ મળતી હતી.તેના પરિવારમાં તેના પિતાજી તેના ભાઈઓ તેમજ તેના ત્રણ બાળકો છે.

આજથી દસેક મહિના પૂર્વે આ અરુણાબેન અચાનક જ રહસ્યમય રીતે ગુમ થઈ જવા પામી હતી.તેના ત્રણ બાળકો અને તેના પરિવારના માથે જાણે આભ તૂટી પડ્યું હતું.તેના પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનના ચક્કર કાપ્યા તેમજ નજીકના વિસ્તારોમાં ખૂબ જ શોધખોળ કરી પરંતુ કોઈ ભાળ મળી નહતી. પરંતુ અચાનક જ ચમત્કાર સર્જાયો હોય એમ ગામના જ એક ભાઈએ આ પરિવારને ગુમ થયેલ અરુણાબેનનો સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલ વીડિયો બતાવ્યો હતો.વીડિયો જોતા પરિવારના સભ્યો તરત જ અરુણાબેન ને ઓળખી ગયા હતા.