અરવલ્લી, તા.૩ 

સમગ્ર રાજયમાં કોરોનાનો વ્યાપ વધતા લોકડાઉનના સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ સિવાયની તમામ કચેરીઓ બંધ કરાઇ હતી. જેમાં વિધાર્થીઓ અને ગરીબ લાભાર્થીઓને યોજનાકીય સહાયના પ્રમાણપત્ર આપતા જનસેવા કેન્દ્ર પણ બંધ હતા પરંતુ લોકડાઉન ખુલતા જ અરવલ્લીના મોડાસાના જનસેવા કેન્દ્રમાં જૂન માસ દરમિયાન ૨૫૦૦થી વધુ અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. અરવલ્લીમિાં કોરોનાના સંક્રમણની અસર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળતા જિલ્લા કલેકટર કચેરી તેમજ તાલુકા કક્ષાના જનસેવા કેન્દ્ર બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ જૂન માસમાં અનલોક-વનના આરંભે જ જનસેવા કેન્દ્રો શરૂ કરવામાં આવતા વિવિધ યોજનાકીય સહાયની અરજીઓ તેમજ લાભાર્થીઓને લાભ મેળવવા માટે જરૂરીપ્રમાણપત્ર આપવાની કામગીરી હાથ ધરાઇ છે.  

જેમાં અરવલ્લીના મોડાસાના જનસેવા કેન્દ્ર દ્વારા એક માસમાં રેશનકાર્ડમાં નામ કમી કરવા ઉમેરવા, ડુપ્લીકેટ, અલગ અને નવિન રેશનકાર્ડને લગતી ૬૭૪ તેમજ નિરાધાર વૃધ્ધ-દિવ્યાંગોને સહિતની સહાયની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો જયારે સિનિયર સિટીઝન, ઉંમર અને અધિનિવાસ, વારસાઇ, અનુસૂચિત જાતિ-જનજાતિ, બિન અનામત વર્ગના યોજનાકીય સહાયના લાભના પ્રમાણપત્ર આપવા સહિત અન્ય કામગીરી મળી કુલ ૨૫૯૨ સેવાઓ લોકોને જનસેવા કેન્દ્ર દ્વારા પુરી પડાતા અરવલ્લીનું મોડાસાનું જનસેવા કેન્દ્ર સાચા અર્થમાં સેવાનું સેતુ સાબિત થયું છે.