ગાંધીનગર ગુજરાત સાયન્સ સિટી ખાતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ ફિશરીઝ નિમિત્તે બે દિવસીય ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા ૨૦૨૩નો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી ડો. સંજીવ બાલ્યાન અને ડો. એલ. મુરુગન તથા રાજ્યના કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ પણ આ તકે ઉપસ્થિત રહ્યાં. આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એક્ઝીબિશન પેવિલિયનનું પણ ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું. આ ગ્લોબલ કોન્ફરન્સના ઉદ્‌ઘાટન પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, સૌથી લાંબો દરિયાકિનારો અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે સૌથી વધુ વિકાસની સંભાવનાઓ ધરાવતા ગુજરાત રાજ્યના આંગણે સૌ પ્રથમ વખત આ પ્રકારની ગ્લોબલ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે એ આપણું સૌભાગ્ય છે. દેશમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિકાસને વેગવંતો બનાવવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ વખત અલગ મત્સ્યોદ્યોગ વિભાગ શરૂ કરાવેલો. આજે વિશ્વમાં ફિશ પ્રોડક્શનમાં આપણો દેશ ત્રીજા નંબરે છે, એવું તેમણે ઉમેર્યું હતું. ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા ૨૦૨૩ના વિવિધ પ્રકલ્પો વિશે વાત કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આ આગવી કોન્ફરન્સ મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ - વ્યવસાયકારો, માછીમારો, એક્સપોર્ટર્સ, પ્રોસેસર્સ,પોલીસી મેકર્સ, લોજિસ્ટિક ક્ષેત્રે સંકળાયેલા સૌ લોકોને એક આગવું પ્લેટફોર્મ પૂરું પાડશે અને સૌને એક મંચ પર લાવશે. આ બે દિવસીય ગ્લોબલ કોન્ફરન્સમાં ઇન્ટરનેશનલ ડેલિગેટ્‌સ સહિત આ ક્ષેત્રે સંકળાયેલા વિવિધ સ્ટેક હોલ્ડર્સ અનેકવિધ વિવિધતાપૂર્ણ સેમિનાર્સ, ડિસ્કશન, કોન્ફરન્સ અને ડેલીબરેશનમાં સહભાગી થશે અને મત્સ્યોદ્યોગના વૈશ્વિક પડકારો અંગે હકારાત્મક ચર્ચા વિચારણા કરશે. આ ઐતિહાસિક કોન્ફરન્સ થકી તેઓને દેશ-વિદેશમાં આ ક્ષેત્રે અપનાવવામાં આવતી વિવિધ તકનીકો, પદ્ધતિઓ, યોજનાઓ બાબતે ઉત્કૃષ્ટ માર્ગદર્શન પ્રાપ્ત થશે. મત્સ્ય ઉદ્યોગના આંતરરાષ્ટ્રીય કારોબાર સહિત આ ક્ષેત્ર સાથે જાેડાયેલા વિવિધ પડકારો અને સંભાવનાઓ તથા તેના સમાધાનો અંગે આ કોન્ફરન્સ મહત્ત્વની સાબિત થશે. આ કોન્ફરન્સની ભલામણો અને સૂચનો આગામી સમયમાં આ ક્ષેત્રે પોલિસી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ મંથન દેશના ફિશરીઝ સેક્ટર માટે વે ફોરવર્ડ સાબિત થશે, એમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયાના ઉદ્‌ઘાટન પ્રસંગે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય ૧૬૦૦ કિલોમીટરનો દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. ગુજરાત રાજ્ય દેશમાં મરીન ફિશ પ્રોડક્શનમાં સૌથી આગળ છે તથા ૫૦૦૦ કરોડથી વધુના મત્સ્ય ઉત્પાદનોની નિકાસ પણ ગુજરાત કરે છે. દેશના ફિશ એક્સપોર્ટમાં રાજ્યનું ૧૭% જેટલું યોગદાન છે. આથી જ ગુજરાત આ ગ્લોબલ કોન્ફરન્સના આયોજન માટે શ્રેષ્ઠ સ્થળ છે, એમ તેમણે ઉમેર્યું હતું. દેશના અર્થતંત્રમાં મત્સ્યોદ્યોગ વિભાગના યોગદાન વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક મહાસત્તા બન્યું છે. છેલ્લાં ૯ વર્ષમાં આંતરરાષ્ટ્રીય વેપાર અને અર્થતંત્રમાં બ્લૂ ઇકોનોમીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વર્ષ ૨૦૧૪થી વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વના પરિણામે મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલન ક્ષેત્રે વિકાસ થકી ખરા અર્થમાં બ્લૂ રિવોલ્યુશન આવ્યું છે.