દિલ્હી-

અફઘાનિસ્તાનમાં એક પત્રકારની હત્યા થવાના સમાચાર અંગે શંકા ઉભી થઈ છે. પહેલા અફઘાનિસ્તાનની પ્રમુખ મીડિયા સંસ્થા ટોલો ન્યૂઝે સમાચાર આપ્યા હતા કે, તાલિબાનીઓએ પત્રકાર જિયાર યાદ ખાનની હત્યા કરી નાખી છે. મીડિયા સંસ્થાએ કહ્યું હતું કે, જિયાર યાદ ખાન કાબુલમાં બેરોજગારી અને ગરીબી અંગે રિપોર્ટિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તે તાલિબાનનો શિકાર બન્યો હતો. તેના કેમેરામેનને ઢોર માર મારવામાં આવ્યો હતો. ટોલો ન્યૂઝે જિયાર યાદ ખાનની હત્યા થઈ હોવા અંગે ટ્વિટ પણ કર્યું હતું, પરંતુ ટોલો ન્યૂઝના આ સમાચાર ખોટા નીકળ્યા. કારણ કે, પત્રકાર જિયાર યાદ ખાને પોતે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, તેના મોતના સમાચાર ખોટા છે અને તે જીવતો છે. પત્રકાર જિયાર યાદ ખાને ટ્વિટ કરી જણાવ્યું હતું કે, કાબુલની ન્યૂ સિટીમાં તાલિબાને ગન પોઈન્ટ પર રાખી મને ખૂબ માર માર્યો હતો. કેમેરા, ટેક્નિકલ સાધનો અને મારો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો. કેટલાક લોકોએ મારા મોતના સમાચાર ફેલાવ્યા છે, જે તદ્દન ખોટા છે. અફઘાનિસ્તાનની પ્રમુખ મીડિયા સંસ્થા ટોલો ન્યૂઝે પોતાના પત્રકારની હત્યા કરી હોવાની જાણકારી આપી હતી, પરંતુ પત્રકારે પોતે જ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તે જીવતો છે. તાલિબાનીઓએ તેને ખૂબ માર માર્યો છે, પરંતુ તેને મારી નાખવાના સમાચાર ખોટા છે.