ગાંધીનગર

લાભ પાચમના શુભ મુહૂર્ત અને વિજય મુહૂર્તમાં ભાજપના ચૂંટાયેલા આઠ ધારાસભ્યો ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યા છે. વિધાનસભા અધ્યક્ષ સમક્ષ ૧૨ઃ૩૯ મિનિટે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ગુજરાત રાજ્યમાં યોજાયેલી આઠ બેઠકોની પેટાચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે. આજના શપથ વિધિ સમારોહ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સિનિયર સભ્યો હાજરી આપી હતી. કોંગ્રેસના ૮ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ ૮ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં ભાજપના ધારાસભ્યોએ વિજય મેળવ્યો હતો. ત્યારે આજે તમામ ૮ બેઠકના ચૂંટાયેલા ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ સામે સોગંધ લીધા હતા. મુખ્યમંત્રી, નાયબ મુખ્યંમત્રી, ગૃહરાજ્ય મંત્રી સહિતના આગેવાનોની હાજરીમાં શપથ સમારોહ યોજાયો હતો. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કાર્યક્રમમાં મોડા પહોંચ્યા હતા. તો તેઓએ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ચેમ્બરમાં શપથ લીધા હતા. આ સાથે જ ભાજપના ૧૧૧ અને કોંગ્રેસના ૬૫ ધારાસભ્યો થયા છે. વિજય રૂપાણીએ નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોને અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. નોંધનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભામાં ૧૧૧ બેઠકોના અંક ઉપર પહોંચી છે. તાજેતરમાં યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ આઠ બેઠકો જીતીને વિજયપતાકા લહેરાવી છે. જેમાં અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, ધારીમાંથી જે. વી. કાકડીયા, કરજણમાંથી અક્ષય પટેલ, ગઢડામાંથી આત્મારામ પરમાર, કપરાડામાંથી જીતુભાઇ ચૌધરી, ડાંગમાંથી વિજયભાઇ પટેલ તેમજ લિંબડીમાંથી કિરિટસિંહ રાણાનો વિજય થયો છે. કોરોનાના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ સાથે સમારંભ યોજી શકાય એટલા માટે શપથ ગ્રહણ કરનાર દરેક ધારાસભ્યને ૧૫ ટેકેદારોની મર્યાદામાં લાવવાની છૂટ આપવામાં આવી છે.