ગાંધીનગર-

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર એટલે કે, રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની મુલાકાતે લઈ શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે, પરંતુ હજી સુધી આ અંગે સત્તાવાર કોઈ જાહેરાત થઇ નથી, ત્યારે સંભવિત મુલાકાતને ધ્યાનમાં લઈને જિલ્લા તંત્રએ પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ત્રણ વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત લઈને નર્મદા જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોનીના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવાઈ રહી છે. જ્યારે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અત્યંત મર્યાદિત આમંત્રિતોને ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં કેન્દ્રીય દળોની એકતા પરેડ તથા લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમીના તાલીમાર્થીઓને સાથે પીએમ મોદી સંબોધિત કરે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.