કચ્છ-

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૧૫ ડિસેમ્બર મંગળવારના રોજ એક દિવસના કચ્છના પ્રવાસે આવશે. વડાપ્રધાનશ્રીના હસ્તે યોજાનાર વિવિધ લોકાર્પણ અને ખાતમૂર્હુત કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય  રૂપાણી ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી બપોરે ૨.૦૦ કલાકે ખાતમૂર્હુત કરશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે. ધોરડો ખાતે વડાપ્રધાન કચ્છના પ્રગતીશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ કરશે. વડાપ્રધાન ભૂકંપગ્રસ્તની યાદમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે. કચ્છના હસ્તકલા કારીગરોને મળી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. 

આ ઉપરાંત દરિયાના પાણીને મીઠું બનાવવાના કચ્છના ગુંદિયાળી અને સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે. આ ઉપરાંત કચ્છ સરહદે મોટા રણમાં અદાણી ગૃપ દ્વારા સૌરઊર્જા અને પવનચક્કીથી ઉભા કરનાર ૩૦ હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરતાં હાઇબ્રીડ એનર્જી પાર્કનું ભૂમિપૂજન કરશે. સાથે સાથે સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રીય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા અંદાજે રૂ. ૧૨૯ કરોડથી વધુના ખર્ચે સ્વંય સંચાલિત ડેરી પ્લાન્ટનું ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન વિધિ કરાશે.  અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮.૩૭ કરોડની સહાયથી કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૧૩-૧૪માં પ્રથમ બે લાખ લીટરના પ્રોસેસીંગ ક્ષમતાનો કચ્છ ડેરી પ્લાન્ટ આપવામાં આવ્યો હતો. જેના દ્વારા અગાઉ કાચુ દૂધ અમુલ ડેરીને ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવતું હતું અને પરત પ્રોસેસ કરી કચ્છમાં વહેચવામાં આવતું હતું. પરંતુ હવે આ પ્લાન્ટ થકી વધુ બે લાખ લીટર દૂધ તથા છાસની પ્રોસેસ કરી અમુલ બ્રાન્ડ હેઠળ કચ્છમાં વેચાણ કરવામાં આવશે.