પોરબંદર-

ગુજરાતના દરિયાકાંઠામાં પોરબંદરનો દરિયાકાંઠો હંમેશા આગવું મહત્ત્વ ધરાવનાર બની રહ્યો છે. માછીમારી ઉદ્યોગનું મોટું હબ પોરબંદર લશ્કરી દ્રષ્ટિકોણથી પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતના દરિયાકાંઠાની જળસીમાથી દુશ્મનોને દૂર રાખવા માટે મરીન સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક જ હોય છે. ત્યારે અવારનવાર વિવિધ એજન્સીઓ ભેગી મળીને સુરક્ષાને લઇને વ્યૂહાત્મક હોય તેવા પગલાં ભરતી હોય છે. હાલ પોરબંદરના દરિયાકાંઠે બે દિવસ- 9 અને 10 ઓક્ટોબરે સાગર સુરક્ષા કવચ અભિયાન યોજાયું છે. જેમાં સુરક્ષા એજન્સીઓ વિવિધ સંજોગોમાં કઇ રીતે કામ કરવું તે અંગે જણાવાયું હતું અને આ અંગે પ્રેક્ટિકલ જ્ઞાન પણ સુરક્ષા જવાનોને આપવામાં આવ્યું હતું.

પોરબંદરનો દરિયો સંવેદનશીલ દરિયો રહ્યો છે. આતંકવાદી પ્રવૃત્તિમાં પણ પોરબંદરના દરિયાનો ઉપયોગ ભૂતકાળમાં થયો છે. જેથી સરકાર દ્વારા આ દરિયામાં સુરક્ષા વધારવાના હંમેશા પ્રયત્નો કરવામાં આવે છે. પોરબંદરમાં તારીખ 9 અને 10 ઓક્ટોબરના રોજ બે દિવસીય સાગર સુરક્ષા કવચ અભિયાન સુરક્ષાના ભાગરૂપે આયોજન કરાયું હતું.