રાયગઢ-

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં કાજળપુરા મહોલ્લા ખાતે તારીક ગાર્ડન નામે એક પાંચ માળની ઈમારત સોમવારે સાંજે 6.30 વાગ્યે તૂટી પડી હતી, જેમાં 200 રહેવાસીઓ દટાઈ ગયા હતાં. આ દુર્ઘટના પહેલા લગભગ એક કલાક સુધી ઇમારત હલી હતી. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયાં છે. કાટમાળ હેઠળથી ચીસો સંભળાતી હોવાથી અગ્નિશમન દળ, સ્થાનિક પોલીસ, એનડીઆરએફની ટીમો, જિલ્લાધિકારી કાર્યાલયના કર્મચારીઓ અને સ્થાનિકોએ યુદ્ધને ધોરણે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

મોડી રાત્રે લાઈટ્‌સ લગાવીને પણ કાટમાળ હટાવવાનું કામ ચાલુ હતું. ઈમારત તૂટી પડવાનો મોટો અવાજ થતાં ઈમારતમાંથી ૧૦થી ૧૫ લોકો બહાર દોડી આવતાં તેઓ બચી ગયા હતા. ઈમારત તૂટી પડવાનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો પણ ભયભીત થઈ ગયા હતા. આ અંગે વડાપ્રધાન કાર્યાલયે અને ગૃહ પ્રધાન અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું હતું અને NDRFને બનતી મદદ કરવા કહ્યુ હતું.

ઈમારત તૂટી પડીને સિમેન્ટ, માટી અને ફર્નિચરનો પ્રચંડ ઢગલો થઈ ગયો હતો. અનેક લોકોનો આક્રોશ અને વિહવળતાનો અવાજ કાટમાળ હેઠળથી આવવાથી સ્થાનિકોએ તુરંત મદદકાર્ય શરૂ કર્યું હતું.