અરવલ્લી : ભિલોડા અને મોડાસા તાલુકાની સરહદોને લઇ રસ્તાની સમસ્યાથી પરેશાન વાંદીયોલ ગામના ગ્રામજનોએ તંત્રની આંખો ખોલવા રામધુન કરી રસ્તો બનાવવાની માંગણી કરી અનોખો વિરોધ કર્યો હતો. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા વાંદીયોલ ગ્રામ પંચાયતની કે જ્યાં વાંદીયોલ અને બ્રહ્મપુરી એમ બંને ગામોના ૪૦૦૦ લોકો વસવાટ કરે છે. આ લોકોને કોઈપણ ખરીદી કે મેડીકલ જેવા કોઈ પણ કામ માટે નજીકમાં મોડાસા તાલુકાના ટીંટોઈ વેપારી મથક હોવાના નાતે અવર જવર કરવી પડે છે. વાંદીયોલથી બ્રહ્મપુરી થઇ ટીંટોઈ જતો ૫ કિલોમીટરનો રસ્તો છેલ્લા કેટલાંય સમયથી બિસ્માર બની જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. રોડમાં એક એક ફૂટના ખાડા પડી ગયા છે. જેને લઇ ઇપેરીંગ કરવા સરપંચ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે. આ રસ્તો રીપેરીંગ કરવા સરપંચ દ્વારા રજુઆતો પણ કરવામાં આવી છે, તેમ છતાં રસ્તો રીપેરીંગ કરવામાં નહિ આવતા લોકોએ આ રોડ ઉપર રસ્તા માટે રામધુન બોલાવી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. સમગ્ર મામલે આરએન્ડબી વિભાગના એકઝયુકિટીવ ઇજનેરનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, આ રસ્તો આરએન્ડબી સ્ટેટ વિભાગ હસ્તકનો હતો. જે થોડા સમય પહેલા આરએન્ડબી પંચાયત વિભાગને સોપવામાં આવ્યો છે, ત્યારે હવે આ માટે જરૂરી પ્લાન એસ્ટીમેટ બનાવી મંજુરી માટે મોકલી આપવામાં આવશે.