જામનગર-

રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા જાડેજાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગાંધીનગર ગયેલા હકુભાની તબિયત લથડતા કોરોના રીપોર્ટ કરાવ્યો હતો. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્ય પ્રધાને પોતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોને અપીલ કરી છે કે, છેલ્લા 8 દિવસથી જે લોકો તેમના સંપર્કમાં આવ્યા છે તેમને કોરોના રિપોર્ટ કરાવવો જોઈએ અને સેલ્ફ ક્વોરન્ટાઈન થવું જોઈએ.

જોકે હકુભા જાડેજાએ કોરોના મહામારીમાં લોકો વચ્ચે રહી એક વોરિયર તરીકે કામ કર્યું છે. જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન સાધી જામનગર જિલ્લાને કોરોના મુક્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેલા અન્ન અને પુરવઠા પ્રધાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમના સમર્થકોમાં ચિંતા જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સાંસદ ડૉ.કિરીટ સોલંકીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આમ સાંસદ બાદ રાજ્ય પ્રધાન પણ કોરોનાગ્રસ્ત બન્યા છે. જોકે, રાજ્ય પ્રધાન હકુભાની તબિયત સારી છે અને પ્રધાનને હાલ કોરોનાના પ્રાથમિક લક્ષણો છે.