મુંબઇ

અપકમિંગ ફિલ્મ 'ધાકડ'ના શૂટિંગમાંથી બ્રેક લઈને કંગના રનૌત ઓરિસ્સાના જગન્નાથ પુરીના દર્શને ગઈ હતી. કંગનાએ પોતાની આ મુલાકાતનો વીડિયો તથા તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી, જેમાં તે ટાઈટ સિક્યોરિટી વચ્ચે જોવા મળે છે.


કંગનાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ભગવાન જગન્નાથના દર્શનની ઈચ્છા પ્રગટ કરી હતી. જોકે, તેને હવે અહીંયા આવવાની તક મળી છે. ગુરુવાર, 18 ફેબ્રુઆરીના રોજ કંગના ભુવનેશ્વર એરપોર્ટ પર આવી હતી. ભગવાનના દર્શન બાદ મીડિયા સાથેની વાતચીતમાં કંગનાએ કહ્યું હતું કે વર્ષની શરૂઆતમાં જ તેને મહાપ્રભુના દર્શન થયા છે. આથી તેને લાગે છે કે આ વર્ષ તેના માટે શુભ સાબિત થશે.

રજનીશ ઘઈના ડિરેક્શનમાં બનેલી 'ધાકડ' આ વર્ષે દિવાળી પર પહેલી ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં દિવ્યા દત્તા તથા અર્જુન રામપાલ મહત્ત્વના રોલમાં છે. રિપોર્ટ્સ પ્રમાણે, કંગનાએ આ ફિલ્મમાં ઈન્ટેલિજન્સ ઓફિસરની ભૂમિકા ભજવી છે.

કંગના રનૌતની 'થલાઈવી' પણ આ વર્ષે જ રિલીઝ થશે. આ ફિલ્મ તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી જ્યલલિતાના જીવન પર આધારિત છે. 'ધાકડ'ના શૂટિંગ બાદ કંગના 'તેજસ'નું શૂટિંગ કરશે. આ ઉપરાંત કંગનાએ 'અપરાજિત અયોધ્યા' તથા 'મણિકર્ણિકા રિટર્નસઃ ધ લિજેન્ડ ઓફ દિદ્દા' અને કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારો પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત કંગના અન્ય એક ફિલ્મમાં ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.