ગાંધીનગર-

કોરોનાની વૈશ્વિક મહામારીમાં બજાર મંદી તરફ વળી રહ્યું છે, ત્યારે બજારને ફરીથી બીજી તરફ લાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત કેન્દ્ર સરકારે બજારમાં આર્થિક વ્યવહાર વધારવા માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓને LTCની જાહેરાત કરી છે, ત્યારે હવે ગુજરાત રાજ્યને 300થી 400 કરોડ રૂપિયાની લોન આપવાની જાહેરાત કરી છે.

રાજ્યમાં આર્થિક વ્યવહારમાં વધારો થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી રહી છે. આ બાબતે નાયબ મુખ્યપ્રધાન અને નાણાં પ્રધાન નીતિન પટેલે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને 50 વર્ષ માટે 300થી 400 કરોડ રૂપિયાની લોન આપશે. જેમાં 50 વર્ષ સુધી ગુજરાત સરકારને એક પણ રૂપિયો વ્યાજ કે હપ્તો ચૂકવવો પડશે નહીં. વધુમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં વિકાસના કામો જેવા કે સિંચાઇના કામ, રસ્તાનું કામ જેવા અનેક કામોમાં ઉપયોગ લઈ શકાય તે હેતુથી કેન્દ્ર સરકાર 300થી 400 કરોડ રૂપિયાની લોન આપશે. જે અંગે સોમવારે જ બેઠકમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી.આમ ગુજરાત રાજ્યમાં આર્થિક વ્યવહાર વધે અને કોરોનાની પરિસ્થિતિ પહેલા જેવી પરિસ્થિતિ હતી અને આર્થિક વ્યવહારો હતા, તેવા જ આર્થિક વ્યવહારો અને સ્થિતિ યથાવત રહે તેવા ઉદ્દેશથી કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને 300થી 400 કરોડની લોન 50 વર્ષની મુદતે આપશે.