ગાંધીનગર, તા.૨૫

રાજ્યની બહેન-દીકરીઓને સુરક્ષિત રાખવા અને તેમને પડતી મુશ્કેલીઓનું ત્વરિત નિરાકરણ લાવવા રાજ્ય સરકાર સતત ચિંતિત છે, જેના અંતર્ગત પોર્ટુગલ ખાતે રહેતી અને પતિના ત્રાસથી હેરાન થતી ગુજરાતની દીકરીને સલામત ગુજરાત પરત લવાઈ છે.

ગુજરાતના વતની અશોક ચૌહાણે રાજ્યના ગૃહ રાજ્ય અને એનઆરજી મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી કે, તેમની દીકરી જિનલબેન રાહુલકુમાર વર્મા તેમના પતિ સાથે પોર્ટુગલ ખાતે વસવાટ કરે છે, અને તેનાં પતિ દ્વારા તેમની દીકરીને શારિરીક અને માનસિક હેરાનગતિ કરાય છે. એટલુ જ નહિ, આ દીકરીને પતિ દ્વારા નજર કેદમાં રાખીને હેરાન પરેશાન કરી દેવાઇ છે. તેથી દીકરીને સલામત ગુજરાત પરત લાવવા રજૂઆત કરી હતી. ચિંતિત પિતાની રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ દીકરીને ત્વરિત ગુજરાત લાવવા કાર્યવાહી કરવા કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરી જરૂરી સહયોગ આપવા જણાવ્યુ હતું. જેના પરિણામે પોર્ટુગલથી ગુજરાતની દીકરીને સલામત રીતે ગુજરાત પરત લાવવામાં સફળતા મળી છે. દીકરીના પરિવારજનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.

અરજદારે તેની રજૂઆતમાં જણાવ્યા મુજબ તેઓની પુત્રીના પાસપોર્ટ સહિતના કાગળો તેણીના પતિ પાસે હોવાથી દિકરીને હેરાન કરાતી હતી. આ અંગે અરજદારને ગૃહ રાજ્યમંત્રી દ્વારા રૂબરૂમાં માર્ગદર્શન અપાયું હતું. ગુહ રાજ્ય મંત્રી સંઘવીના નેતૃત્વ હેઠળ અરજદારની રજૂઆત બિન નિવાસી ગુજરાતી પ્રભાગની કચેરી દ્વારા પોર્ટુગલ ખાતેની ભારતની એલચી કચેરીને અને ભારત સરકારના વિદેશ મંત્રાલયને ઘટતી કાર્યવાહી હેતુ ઇમેઇલથી મોકલી અપાઈ હતી. જે અંગે પોર્ટુગલ ખાતેની ભારતની એલચી કચેરીના તા.૧૪ના ઇમેઇલથી આ અંગે જરૂરી કાર્યવાહી કરવા હકારાત્મક પ્રત્ત્યુતર મળ્યો હતો. આ સંદર્ભે અરજદારના તા.૨૪ના ઇમેઇલથી તેઓની રજૂઆત પરત્વે તેઓની દીકરી હેમખેમ ગુજરાત પરત આવી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી ત્વરિત કામગીરીને પરિણામે મળેલી સફળ કામગીરી માટે અરજદાર દ્વારા આભાર વ્યકત કરાયો છે.