અમદાવાદ શહેરના ઘાટલોડિયાના મીનાબેનની ૩ દિકરીઓએ બ્રેઇન ડેડ જાહેર કરાયેલી માતાને માત્ર ફોટોફ્રેમ અથવા સ્મૃતિમાં સાચવવાના બદલે તેમના અંગોનું દાન કરી અન્ય ૩ દર્દીને જીવનદાન આપી સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. મીનાબહેનના સંતાનોના આ પ્રેરણાદાયી કાર્યએ ગુજરાત સરકારના અંગદાનના પ્રયાસોને વધુ બળકટ બનાવ્યાં છે. કહેવાય છે કે, જીવન એક વરદાન છે, અને ભારતીય સંસ્કૃતિમાં અન્યોને મદદ કરવી કે જરૂરિયાતમંદોને જીવતદાન આપવું એ ઇશ્વરના આશિષ મેળવી આપે એવું ઉમદા કાર્ય ગણાયું છે. આજના સ્વાર્થભર્યાં યુગમાં કોઇની મદદ કરવાની હોય ત્યારે હિંમતની અચૂક જરૂર પડે છે. 

સામાન્ય રીતે અંગદાન જેવા કાર્યમાં અસમજણ અને અજ્ઞાનના અભાવે પુરુષો પણ જે ર્નિણય લેવાની હિંમત કરી શકતા નથી. તે અંગદાનનો ર્નિણય મીનાબેનની ૩ દિકરીઓએ લઇને જે હિંમત દર્શાવી છે તે આપણા સમાજને સ્પષ્ટ સંદેશો આપે છે કે “દિકરીઓ લગીરેય દિકરાઓથી ઉણી ઉતરતી નથી અને જરૂર પડ્યે દિકરીઓ દિકરાઓની તુલનાએ વધુ મક્કમતાથી ર્નિણય લેતી હોય છે. અંગ દાન કરનાર મીનાબેનના પરિવારમાં ૩ પુત્રી અને ૨ પુત્રો છે.

અમદાવાદ શહેર ચાણક્યપુરી ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી ૪૮ વર્ષીય મીનાબેન ઝાલાને ૧૯ જાન્યુઆરી, ૨૦૨૧ના દિવસે બ્રેઈનડેડ જાહેર કરાયા હતાં. તબીબોએ ગુજરાત સરકારના અંગદાન કાર્યક્રમ હેઠળ અંગદાન કરવા માટે મીનાબેનના પરિવારજનોને સમજાવ્યા હતા. સિવિલના તબીબો અને કાઉન્સીલરોએ તેમના પરિવારજનોનું કાઉન્સેલીંગ કર્યુ. આખરે મીનાબેનની ૩ પુત્રીઓએ માતાની યાદોને ચિરસ્મરણિય બનાવવાનો ર્નિણય લીધો હતો અને માતાના અંગોના પ્રત્યારોપણ માટે સહમતિ દર્શાવી હતી.