ગાંધીનગર, ગુજરાતની રૂપાણી સરકાર ખેડૂતોનાં હિતમાં કામ કરતી હોવાનો દાવો કરતી આવે છે. અને હાલની ચૂંટણીઓમાં પણ ગામડાંઓમાંથી સરકારને મોટી સફળતા મળી છે. તેવામાં હાલ ચાલી રહેલાં વિધાનસભા સત્રમાં સરકારનાં આંકડાઓ પરથી ખેડૂતોની સચ્ચાઈ સામે આવી છે. સરકારે પાક વીમા, એપીએમસી, માર્કેટ સેસ સહિતના મુદ્દે આજે પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પાક વીમા અંગે પુછાયેલ પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, પાક વીમા યોજનામાં બે વર્ષમાં ૨૩ લાખ ખેડૂતોએ અરજી કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે, ખેડૂતોને વળતર પેટે કંપનીઓ દ્વારા માત્ર રૂ.૧૪૮ કરોડનું ચુકવણું કરવામાં આવ્યું છે. જેની સામે રૂ.૫૦૦ કરોડથી વધુ પ્રીમિયમ ખેડૂતોએ કંપનીઓને ચૂકવ્યું હતું. આટલું જ નહીં પણ કેન્દ્ર સરકારે ૧૫૦૦ કરોડ અને રાજ્ય સરકારે ૧૫૦૦ કરોડ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવ્યું હતું. આમ ગણતરી કરીએ તો, ૩૫૦૦ કરોડના પ્રીમિયની સામે કંપનીઓએ ૧૫૦ કરોડ પણ પૂરું પ્રીમિયમ આપ્યું નથી.

૨૨૭ સહકારી અને ૩૦ ખાનગી એપીએમસી આવેલી છે

આ ઉપરાંત સરકારે વિધાનસભામાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ૨ ખાનગી એપીએમસીને મંજૂરી આપવામાં આવી છે. અને બે વર્ષમાં એકપણ સહકારી એપીએમસીને મંજૂરી આપવામાં આવી નથી. હાલ ગુજરાતમાં ૨૨૭ સહકારી અને ૩૦ ખાનગી એપીએમસી આવેલી છે. આ ઉપરાંત ખેત ઉત્પાદનમાં માર્કેટ સેસ નાબૂદીની રજૂઆત સરકારને કરવામાં આવી નથી. ૨ વર્ષમાં સરકારને કોઈ રજૂઆત ન મળી હોવાનો દાવો સરકારે કર્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય વિરજી ઠુમ્મરના પ્રશ્નમાં સરકારે ગૃહમાં જવાબ આપ્યો હતો.

ટ્રેક્ટર ખરીદીમાં ખેડૂતોની ૪૦ ટકા અરજી નામંજૂર

આ ઉપરાંત ટ્રેક્ટર ખરીદીમાં ખેડૂતોની ૪૦% અરજી નામંજૂર કરવામાં આવી છે. બે વર્ષમાં કુલ અરજીમાંથી ૪૦% અરજી સરકારે નામંજૂર કરી છે. ટ્રેક્ટર સહાય માટે ૧.૩૫ લાખ અરજીઓ મળી હતી. અને હાલમાં ટ્રેક્ટર સહાય માટે ૨૭, ૬૨૪ અરજીઓ પડતર છે.