અમદાવાદ-

ધોરણ ૧ થી ૫ના શિક્ષકો ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓને પણ ભણાવતા હોવાના કિસ્સાઓ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. સરકાર દ્વારા આવા શિક્ષકોને મંજૂરી અપાતી હોવાના દાવા સાથે કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારના શિક્ષણ વિભાગ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

આ અંગે અરજદાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, રાજ્યની સ્કૂલોમાં લાયકાત વિનાના શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યાં છે. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવેલા કેસમાં કોર્ટે અવલોકન કરતાં કહ્યું કે, પ્રથમ દર્શનીય સરકાર બાળકોના શિક્ષણને જાેખમમાં મૂકી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. ધોરણ ૧ થી ૫માં ભણાવતા શિક્ષકોને ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓને ભણાવવાની મંજૂરી આપી શકાય નહીં. તમે કાયદાનો ભંગ કરી રહ્યાં છો. કાયદો આવી કોઈ જ બાબતની મંજૂરી આપતો નથી. આટલું જ નહીં, ચાલુ સુનાવણીમાં કોર્ટે પ્રાઈમરી એજ્યુકેશન ડિરેક્ટરનો ફોન કરીને ટકોર કરી હતી કે, જાે શિક્ષકો ના મળતા હોય, તો નવી ભરતીઓ બંધ કરો. આ રીતે ગેરલાયક શિક્ષકો બાળકોને ભણાવવા કેવી રીતે મોકલી શકાય? એકપણ દિવસ કોઈ ગેરલાયક શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવવા ના જવો જાેઈએ.