વલસાડ

ઉમરગામનાં નારગોલ ગામે દરિયા કિનારે માલવણ બીચને અડીને આવેલી સરકારી જમીન ઉપર વિશ્વનું સૌથી મોટું વનનું નિર્માણ કરાશે. વિશ્વ વન દિન નિમિત્તે વલસાડ સામાજિક વનીકરણ વિભાગ, એન્વાયરો ક્રિએટર્સ ફાઉન્ડેશન દ્વારા CSR પ્રોજેક્ટ અંતર્ગત ગોદરેજ પ્રોપર્ટી અને નારગોલ ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી આ કાર્ય કરાશે.

આ અન્વયે બાયો ડાર્યવસિટિ પ્રોજેક્ટમાં FOREST BY THE SEA નામનું વિશ્વનું સૌથી મોટું વનનું નિર્માણ કાર્ય કરાશે. નારગોલમાં દરિયાઇ જીવ સૃષ્ટિને બચાવવા તથા જમીનનું ધોવાણ અટકાવવા માટેના આ પ્રોજેક્ટનો રવિવારે શુભારંભ થયો હતો.

આ પ્રોજેક્ટમાં 1 લાખ 20 હજાર વૃક્ષો ધરાવતું અને જાપાનની મિયાવિકિ પદ્ધતિથી વન નિર્માણ કરાશે. જેનું લોકાર્પણ રાજ્યના વનમંત્રી રમણ પાટકરના વરદ હસ્તે રવિવારે સવારે સોનેરી ખાડી, માલવણ બીચ ખાતે કરાયું હતું.

આ અવસરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નારગોલ ગામના સરપંચ કાંતિભાઇ કોટવાલ, નારગોલ ગામના ઉપસરપંચ સ્વીટીબેન ભંડારી, જયપ્રકાશભાઇ ભંડારી, જયેશભાઇ બારી, તાલુકા પંચાયતના સભ્ય દક્ષાબેન ધોડી, જિલ્લા પંચાયતના સભ્ય મુકેશભાઇ પટેલ અને ભરતભાઇ જાદવ, તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઇ ધાંગડા, સરપંચ સંઘના પ્રમુખ નરોત્તમભાઇ પટેલ, વલસાડ સામાજીક વનીકરણના એસીએફ જિનલબેન ભટ્ટ, ઇન્ચાર્જ ફોરેસ્ટર કલ્પેશભાઇ માળી સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.

સાડા 7 એકર જમીનમાં બનનારા જંગલમાં વૃક્ષોના વાવેતર બાદ 3 કિલોમીટર સુધી ડ્રીપ ઇરિગેશનની સુવિધા ઊભી કરાશે. આ નિમિતે ભંડારી સમાજ હોલમાં કાલય ખાતે નિર્માણ પામેલા પુલવામા શહિદ વન માટે સહયોગ આપનારી ચાર અલગઅલગ કંપનીઓને એવાર્ડ વિતરણ પણ કરવામાં આવ્યા હતા.

આ વનના નિર્માણ કાર્યથી અનેક વિદેશી પક્ષીઓ આ વનમાં આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નારગોલના માલવણ બીચને અડીને નિર્માણ પામનાર આ વન વિદેશી પક્ષીઓ ખાસ કરીને કિંગ ફિશર કપલ તેમજ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. કાદવ કીચડ, કાંટાળી ઝાડી ઝાંખરાવાળી પડતર ખારલેન્ડ જમીનને ઉપયોગ કરી નવું સ્વરૂપ આપી વન સાથે બીચ ડિવેલપ કાર્ય શરૂ કરતાં તેમજ દુનિયાનું સૌથી મોટું મિયાવિકી ફોરેસ્ટ નિર્માણ થવા જઇ રહ્યું છે.

હાલ જયારે વિશ્વમાં જંગલોનો નાશ થઇ રહ્યો છે. ત્યારે આ વનનું નિર્માણ કાર્ય સરાહનીય કહી શકાય. સાથે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને લઇને પણ વનનું નિર્માણ કાર્ય ફાયદાકારક બની રહેશે.