ન્યુ દિલ્હી

નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો ૧૧ છેલ્લા દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી-હરિયાણા પર આવેલ સિંધુ બોર્ડર પર હજ્જારો ખેડૂતોની ભીડ છેલ્લા ૧૦ દિવસથી ૨૪ કલાક રાતદિવસ ધરણા પર બેઠેલા છે. ખેડૂતોનું પ્રદર્શન ગાજીપુર બોર્ડર, ટીકરી બોર્ડર પર પણ ચાલી રહ્યા છે. આ ઉપરાંત બુરાડી ગ્રાઉન્ડ પર પણ ઘણા ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે.

બોક્સર વિજેન્દર સિંહે કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું સમર્થન કર્યું છે. ખેડૂતોના સમર્થનમાં વિજેન્દર સિંહ સિંધુ બોર્ડર ખાતે પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે જાે સરકાર ખેડૂતોની માંગો નહિ સ્વીકારે અને નવા કૃષિ કાયદા પરત નહિ ખેંચે તો તે પોતાને મળેલ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર પરત કરી દેશે. જણાવી દઈએ કે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ દેશનો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર છે.