અમદાવાદ

24 માર્ચના દિવસને વિશ્વભરમાં વિશ્વ ક્ષય એટલે કે ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એક આંકડા મુજબ દર વરસે ક્ષય એટલે કે ટીબીનાં ભારતમાં 26 લાખ દર્દીઓ નોંધાય છે. ક્ષય (ટીબી) રોગના જે 26 લાખ આંકડો વિશ્વભરના આંકડા સામે 27 ટકા જેટલો છે. ત્યારે દેશમાં નાગરિકોમાં આ રોગ પ્રત્યે જાગૃતિ આવે તે ખુબ જ જરૂરી છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2025 સુધી ભારતમાંથી ક્ષય ( ટીબી ) રોગ નાબૂદ કરવા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.વિશ્વ ક્ષય દિવસને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ અભિયાનમાં જોડાયું છે. અને, Amc દ્વારા ઘરે ઘરે જઈને શંકાસ્પદ ક્ષયના દર્દીઓને શોધવાનું અભિયાન શરૂ કરાયું છે.

આ માટે શહેરના હાઈ રિસ્ક વિસ્તારમાં 1585 જેટલા આશા વર્કર બહેનોને કામે લગાવવામાં આવી છે. શહેરમાં અંદાજે 3,53,895 ઘરોમાં 16,45,365 લોકોનો સર્વે પણ કરવામાં આવ્યો છે. આ માટે શંકાસ્પદ ક્ષયના દર્દીના ગડફાના નમૂના લેવામાં આવ્યા હતા. દેશભરમાં 22 માર્ચથી 26 માર્ચ સુધી આ અભિયાન ચાલું રહેશે.વર્ષ 2021માં 22 માર્ચ સુધીમાં પબ્લિક સેકટરમાં 2456 પ્રાઇવેટ સેકટરમાં 2079 એમ કુલ 4535 કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ 2020માં પબ્લિક સેકટરમાં 7801 પ્રાઇવેટ સેકટરમાં 7218 એમ કુલ 15019 કેસ નોંધાયા હતા.

2020માં 725 દર્દી અને 2021 માં 92 દર્દીઓના મોત નિપજ્યા હતા. 2019માં કુલ દર્દીઓમાંથી 89 ટકા દર્દી સાજા થયા, જ્યારે 7 ટકા દર્દીઓના મોત થયા, તો 4 ટકા દર્દીઓએ સારવાર છોડી દીધી હતી.ટીબીના દર્દી સારવાર લે તેટલા સમય સુધી સહાય મળે તે માટે સરકાર દ્વારા 500 રૂપિયા દર્દીને વ્યક્તિદીઠ અપાય છે. 2020માં 5.56.19.000 તથા 2021માં 1.19.13.500 રૂપિયા નિક્ષય પોષણ યોજના અંતર્ગત ચુકવવામાં આવ્યા છે. તેમજ ટીબીના દર્દી સારવાર લે છે કે નહીં તેનું ડિજિટલ મોનીટરીંગ પણ કરવામાં આવે છે. ડ્રગ રેસિસ્ટન્સ ટીબીના કેસ પણ નોંધાયા 2020માં અમદાવાદમાં 748 કેસ નોંધાયા ચાલુ વર્ષમાં અત્યાર સુધી 185 કેસ નોંધાયા જેની સારવાર 9 થી 24 મહિના ચાલે છે