લખનઉ-

ઉત્તર પ્રદેશમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને જાેતા સરકારે મોટી જાહેરાતો કરી છે. યોગી સરકારે કહ્યું કે સમગ્ર રાજ્યમાં ફરીથી કેન્ટોન્મેન્ટ ઝોન બનશે. એટલું જ નહીં એક કેસ સામે આવશે તો આસપાસના ૨૦ ઘર સીલ કરવામાં આવશે અને બે કેસ મળશે તો ૬૦ ઘર સીલ થશે. યુપીમાં કોરોનાના વધતા કેસને લઈને સરકારે અનેક પગલાં લીધા છે. સરકારે કહ્યું કે શહેરી વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ મળતા વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. જેમાં એકથી વધુ કેસ મળશે તો ૬૦ મકાનોને સીલ કરી દેવાશે. આ કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકોની અવરજવર બંધ થઈ જશે. ત્યાંના લોકોએ ૧૪ દિવસ સુધી એ જ સ્થિતિમાં રેહવું પડશે. આ સ્થિતિ જાળવી રાખવા માટે વિસ્તારમાં સર્વિલાન્સ ટીમ સર્વે અને તપાસ કરશે. આ માટે તમામ જિલ્લાધિકારીઓ અને પોલીસ ઓફિસરોને આદેશ આપી દેવાયા છે. યોગી સરકારે કહ્યું કે શહેરી વિસ્તારોમાં બનેલા બહુમાળી અપાર્ટમેન્ટ માટે નિયમ કઈક અલગ રહેશે. આ નિયમ મુજબ એક દર્દી મશશે તો અપાર્ટમેન્ટના તે માળને બંધ કરી દેવાશે. જ્યારે એકથી વધુ દર્દી મળશે તો ગ્રુપ હાઉસિંગ સંબંધિત બ્લોક સીલ કરાશે. ૧૪ દિવસ સુધી એક પણ દર્દી ન મળે તો કન્ટેન્મેન્ટ ઝોન સમાપ્ત થશે. સરકારે કહ્યું કે ૧૬ જાન્યુઆરીથી ૩ એપ્રિલ વચ્ચે જે લોકોએ પોતાના બંને ડોઝ લઈ લીધા છે તેમને પુરસ્કૃત કરવા માટે સરકાર લોટરી સિસ્ટમ કાઢશે. જે મુજબ સિરિયલ નંબરની લોટરી કાઢવામાં આવી રહી છે અને જે જિલ્લામાં ૨૫૦૦૦થી વધુ લોકોએ કોરોનાની રસી લીધી છે તે જિલ્લાઓને આ સ્કીમમાં સામેલ કરાશે. આ સ્કીમ હેઠળ દરેક જિલ્લાના ૪-૪ લોકોને ઈનામ અપાશે. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્ર અને પંજાબ દેશના બે એવા રાજ્યો છે જ્યાં છેલ્લા પખવાડિયાથી કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધુ દૈનિક કેસ સામે આવી રહ્યા છે. અધિકૃત દસ્તાવેજાેથી આ જાણકારી મળી છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે કેબિનેટ સચિવની બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજુ કરાયેલા દસ્તાવેજાેમાં જણાવવામાં આવ્યું છે કે આ બંને રાજ્યો એ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામેલ છે જ્યાં દૈનિક કેસોની તેમની જૂની ચરમ સંખ્યાથી પણ વધુ કેસ નોંધાયા છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંડીગઢ, છત્તીસગઢ અને ગુજરાત પણ સામેલ છે.