ગાંધીનગર-

સુરત અને નર્મદા જિલ્લાના 73 આદિજાતિ ગામોને બારમાસી સિંચાઈ સુવિધા મળશે. આ ગામોની 53,700 એકર જમીનને ઉદવહન સિંચાઇ યોજના હેઠળ લાભ આપવામાં આવશે. આદિજાતિ ગામોને સિંચાઇ માટે પાણી આપવા 53 માળની ઊંચાઈના મકાન જેટલી ઊંચાઈ સુધી પાણી લિફ્ટ-ઉદવહન કરવાનું ઈજનેરી કૌશલ્ય આ યોજના મારફતે સાકાર થશે.

આ યોજના 36 મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ યોજનાથી 100 હયાત ચેકડેમ ભરવાનું તેમજ રૂપિયા 2 કરોડ 76 લાખના ખર્ચે 3 નવા મોટા ચેકડેમ બનાવી તેને પણ પાણીથી ભરીને સિંચાઇ સગવડ ઉભી કરવાનું આયોજન છે.ઉદવહન સિંચાઈ યોજના ઉમરપાડા-ડેડીયાપાડાના આદિજાતિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે, તેમજ બારમાસી સિંચાઈ સુવિધા તેમને મળવાથી હવે ખેતી દ્વારા આર્થિક સમૃદ્ધિની નવી દિશા આ વનબંધુ ધરતીપુત્રોને મળશે. તાપી-કરજણ ઉદવહન સિંચાઇ યોજના અન્વયે 4 પમ્પિંગ સ્ટેશન્સ બનાવામાં આવશે.

તાપી નદી પરના ઉકાઇ જળાશયના સાતકાશી ગામે પ્રથમ પમ્પિંગ સ્ટેશન નિર્માણ કરીને 10 ફૂટની વ્યાસની પાઇપથી 500 ક્યુસેક પાણી ઉપાડવામાં આવશે, એટલું જ નહીં ઉમરપાડાના સરવાણ પાંચા આંબા તથા સાદડા પાણી ગામના તળાવો પણ આ જ પાઇપલાઇન યોજનાથી ભરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં આદિજાતિ વિસ્તારના 7 જિલ્લાઓ મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, નર્મદા, તાપી અને ભરૂચના 21 તાલુકાના 590 ગામોને આવરી લેતી 10 ઉદવહન સિંચાઇ યોજનાઓના કામોને મંજૂરી આપી છે.લિફ્ટ ઈરીગેશન યોજનાઓ માટે કુલ રૂપિયા 3,735 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે.

આ યોજનાઓના પરિણામે કુલ 2,30,250 એકર આદિજાતિ વિસ્તારની જમીનને સિંચાઇનો લાભ મળશે અને સમગ્ર આદિજાતિ વિસ્તારની કાયાપલટ થતા કૃષિ વિકાસ હરિયાળી ક્રાંતિની નવી દિશાઓ ખૂલશે.આ પહેલા 17મી સપ્ટેમ્બરે સાગબારા, ડેડીયાપાડા, સોનગઢના આદિજાતિ 208 ગામોને ઉકાઈ જળાશય આધારિત 305 કરોડની પીવાના પાણીની યોજના જાહેર કરી હતી. જે બાદ હવે તેમને ઉમરપાડા અને દેડીયાપાડાના 73 આદિજાતિ ગામોને ઉદવહન સિંચાઇ યોજનાના કામો શરૂ કરવાની ભેટ આપીને વનબંધુ વિસ્તારોમાં પીવાના અને બારમાસી સિંચાઈના પાણી આપીને કાયમી સુખ કરી આપવાની નેમ દર્શાવી છે.