વલસાડ-

છેલ્લા કેટલાક દિવસોથી યુરોપિયન દેશની શ્રેણીબદ્ધ આતંકવાદની ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસ સાથે એકતા વ્યક્ત કરી હતી. જે બાદ પણ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વિરુદ્ધ મુંબઈ અને ભોપાલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેના પડઘો હવે સંજાણ બંદરે પડ્યા છે. સંજાણ બંદર વિસ્તારના મુખ્ય માર્ગો પર રાત્રિના સમય દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ એન્યુનલ મેક્રોનના ફોટા ચોંટાડવામાં આવતા ચકચાર મચી હતી. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બંદર સહિત 4 રસ્તા સુધી લઘુમતી વસતીવાળા વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનના ફોટા છપાયેલા સ્ટિકર રોડ પર રાતોરાત ચોંટાડવાની ઘટનાથી સમગ્ર સંજાણ પંથકમાં ચકચાર મચી છે.ઉમરગામ તાલુકાનાં સંજાણ ગામના બંદર વિસ્તારમાં જ્યાં બહુધા લઘુમતી મુસ્લિમ ધર્મના લોકોની વસ્તી આવેલી છે. અહીં નારગોલ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર રાત્રિ દરમિયાન અજાણ્યા ઈસમો ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખના ફોટા છાપેલા સ્ટિકર રોડ ઉપર ચોટાડી જતા સંજાણ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર દિવસ દરમિયાન માર્ગ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો પોતાના વાહનો સ્ટિકર ઉપરથી પસાર કરતાં નજરે પડ્યા હતા. મોડી સાંજે પોલીસ તંત્ર દ્વારા સ્ટિકર હટાવવાની તજવીજ હાથ ધરી હતી. સ્થાનિકોની પૂછપરછ કરતા આ સ્ટિકર કોણે અને ક્યારે લગાવી ગયું એ અંગે કોઈ જાણતું ન હોવાનું જણાવ્યુ હતું.