અમદાવાદ-

દેશભરમાં કોરોના રસી મૂકવાના ત્રીજા તબક્કાની આજથી શરૂઆત થઈ છે. આ વખતે વરિષ્ઠ નાગરિકોને કોરોના રસી અપાઈ રહી છે. આજે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હીની એઈમ્સ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. અહીં રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ પણ ગાંધીનગરના ભાટ ખાતે આવેલી એપોલો હોસ્પિટલ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો.

આ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તમામ વરીષ્ઠ નાગરીકોને વેક્સિન લેવા માટેની અપીલ થઈ હતી. ગુજરાતના 60 લાખ જેટલા વરીષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લેવા માટે અપીલ થઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન પોતે સિનીયર સિટીઝન હોવાને કારણે ત્રીજા તબક્કામાં વેક્સીન લીધી. સમગ્ર રાજ્યની આશરે 2200 જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ 536 જેટલી ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવશે. આ હેતુસર તાલીમબદ્ધ ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ સહિત આશરે 30 હજાર જેટલા લોકો પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ રસીપુર્ણ રીતે સુરક્ષીત છે, અને તેની કોઇ આડઅસર નથી. 60 વર્ષથી વધારે વયના દરેક વડીલ આ રસીના બે ડોઝ જરૂર લે અને સમયસર લે. પોતાની જાતને કોરોનાથી સુરક્ષીત બનાવવા માટેનો અનુરોધ પણ મુખ્યમંત્રીએ કર્યો હતો.