આણંદ, તા.૧૯ 

ગુજરાતમાં લોકડાઉનનો ગાળો નાના રોજગાર ધંધાવાળા માટે મુશ્કેલ ભર્યો હતો અને તેઓને રાહત આપવી જરૂરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર યોજના હેઠળ રૂા.૧ લાખની લોન ઓછા વ્યાજે મળે એવી વ્યવસ્થા કરી હતી. આવી લોન મેળવનારમાં આણંદના ટાવર બજાર વિસ્તારમાં ચાની લારી ચલાવનાર પરેશભાઈ ગોહિલ પણ સામેલ છે.

આ અંગે પરેશભાઈ ગોહિલ જણાવે છે કે, આત્મનિર્ભર સહાય યોજનાની જાહેરાત થતાં જ હું આણંદની સરદાર ગંજ મર્કંટાઈલ કો.ઓ. બેંકમાં દોડી ગયો હતો. ત્યાં જઈને આ યોજના અંગે વિગતો મેળવી ફોર્મ સાથે જરૂરી પુરાવાઓ રજુ કર્યા હતા. જે બાદ બેંકમાં મારી અરજી સ્વીકારવામાં આવી અને મારી રૂા.૧ લાખની લોન મંજૂર થઈ ગઈ હતી.

આત્મનિર્ભર સહાય મળતા જ પરેશભાઈ કહે છે કે, હું રોજનું કમાઈને રોજનું મારાં પરિવારનું ગુજરાન ચલાવું છું, પરંતુ અચાનક આવી પડેલી વિપત્તિ સમાન આ લોકડાઉનના કારણે કમાણીનો સ્ત્રોત હતો તે જ બંધ થઈ ગયો હતો. સતત ચિંતા સતાવતી રહેતી કે આવતી કાલે શું થશે? કેવી રીતે ઘર ચલાવીશું? પરંતુ જેમ તેમ કરીને પણ પોતાનું ગુજરાન ચલાવ્યું હતું. ધંધા રોજગાર કઈ રીતે ફરી પાછા શરૂ થશે તે ચિંતા તો સતાવતી જ રહેતી હતી. સરકાર દ્વારા આત્મનિર્ભર સહાય યોજના અંતર્ગત સહાય મળતા હું ચિંતામુક્ત બન્યો છું.

પરેશભાઈ વધુમાં જણાવે છે કે, લોકડાઉન હળવું થતાં ધીમે ધીમે હવે ધંધા રોજગાર પણ ખુલી રહ્યાં છે, પરંતુ જેમ કોઈ પણ વ્યવસાય નવો જ શરૂ કરતાં હોય બિલકુલ તેવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. જેથી પુનઃ શરૂઆતમાં આ સહાય ખૂબ જ મદદરૂપ થઈ રહી છે.