વડોદરા : વડોદરા શહેરના લક્ષ્મીપુરા ગંગાનગર કેનાલ પાસે નવી બંધાતી બહુમાળી કન્સ્ટ્રકશન સાઈટના ૧૧મા માળે પાલક પર પ્લાસ્ટરનું કામ કરી રહેલા શ્રમજીવી ઉપરથી નીચે પટકાતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે જવાહરનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર લક્ષ્મીપુરા ગંગાનગર કેનાલ પાસે દર્શનમ્‌ લાઈફ ક્લબ નામની નવી કન્સ્ટ્રકશન સાઈટનું કામકાજ ચાલી રહ્યું છે. આ બહુમાળી કન્સ્ટ્રકશન સાઈટ પર કેટલાક શ્રમજીવીઓ મજૂરીકામ કરી રહ્યા હતા. કન્સ્ટ્રકશનની સાઈટ ઉપર ઈશ્વર બાબુભાઈ રાઠોડ (ઉં.વ.રર) નામનો શ્રમજીવી પાલક ઉપર ૧૧મા માળે પ્લાસ્ટરનું કામકાજ કરી રહ્યો હતો ત્યારે તે વખતે પાલક હલવાથી તેને શારીરિક સમતુલન ગુમાવતાં તે ચાલુ કામે ૧૧મા માળેથી નીચે જમીન પર પટકાયો હતો. આ બનાવમાં તેને શારીરિક ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે જવાહરનગર પોલીસ મથકને જાણ કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.