વડોદરા તા.૧૧  

સંકટના સમયમાં આપણે કોઈને બે કે પાંચ હજાર રૂપિયાની રોકડ મદદ કરી શકતાં નથી. પરંતુ આપણા હસ્તક્ષેપ કે સમજાવટ થી કોઈને બે કે પાંચ હજાર રૂપિયા ઓછા ચૂકવવા પડે,એમને એટલી બચત કરાવી શકીએ તો પણ હૃદયને બે કે પાંચ હજાર રૂપિયાની રોકડ મદદ કર્યા જેટલો જ સંતોષ થાય છે.

વડોદરાના લોકો જેમને જયભોલેના હુલામણા નામે ઓળખે છે અને ધારાસભ્ય હતા ત્યારે પણ અને આજે રાજ્ય સરકારના મંત્રી છે ત્યારે પણ અમદાવાદી પોળે આવેલા પંચમુખી મહાદેવના આંગણાના બાંકડા પર બેસી જાણે કે લોક ધારાસભામાં જેઓ લોક પ્રશ્નો સાંભળે છે અને યોગ્ય ઉકેલ આણે છે, સહુને કાન દઈને સાંભળે છે તેવા લોક હિતરક્ષક નર્મદા વિકાસ મંત્રી શ્રી યોગેશભાઈ પટેલના ઉપરોક્ત વાક્યો ખૂબ સૂચક છે. વાતની વિગત કંઇક આવી છે. રાજ્ય સરકારે કોવીડના વ્યાપને અનુલક્ષીને તેની સારવારમાં ખાનગી હોસ્પિટલોને સહભાગી બનાવવા અને એ રીતે સારવાર સુવિધાનો વ્યાપ વધારવા ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે માન્યતા આપી એમને સહભાગી બનાવવાનો અભિગમ અપનાવ્યો. જો કે તે પછી આ ખાનગી દવાખાનાઓ દ્વારા સારવાર માટે વધુ રકમ લેવામાં આવે છે એવો ઉહાપોહ થયો અને દર્દીઓના સગાવહાલા દ્વારા વિવિધ ફરિયાદો માધ્યમો સમક્ષ અને જનપ્રતિનિધિઓ સમક્ષ કરવામાં આવી. આ બાબતની ગંભીરતા ધ્યાનમાં લઈ અને સંવેદનશીલતા દાખવી રાજ્ય સરકારે આરોગ્ય વિભાગના નિષ્ણાંતોના અભિપ્રાયના આધારે માન્ય ખાનગી કોવીડ હોસ્પિટલો કેટલો ચાર્જ વિવિધ પ્રકારની સારવાર માટે લઇ શકે તે નિર્ધારિત કર્યું અને આ પ્રકારના દવાખાનાઓમાં પ્રવેશ દ્વારે કોવીડ સારવાર માટેના નિર્ધારિત દરોનું લીસ્ટ મૂકવામાં આવે એવો નિયમ કર્યો અને સંસ્થાઓ દ્વારા આ ભાવ પટલ મૂકવામાં આવે તે સુનિશ્ચિત કર્યું.

નર્મદા વિકાસ મંત્રીશ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે, વડોદરા અને સંલગ્ન વિસ્તારોના ૮૦ જેટલા માન્ય દવાખાનાઓમાં કોરોના સારવારના નિર્ધારિત દરોનુ લીસ્ટ તા.૯મી ઓગસ્ટથી મૂકવામાં આવ્યું છે. આ લિસ્ટમાં નીચેના ભાગે બિલ અંગે કોઈ ફરિયાદ હોય તો મહાનગરપાલિકાના કયા અધિકારીનો સંપર્ક કરવો એની વિગતો પણ આપવામાં આવી છે. તેમ છતાં, કેટલાક દવાખાનાઓ દ્વારા સરકાર નિર્ધારિત દરો કરતા વધુ ચાર્જ લેવામાં આવે છે અને લોકોને સારવાર માટે વધુ રૂપિયા ખર્ચવા પડે છે એવી રજૂઆતો મળી. નર્મદા વિકાસ મંત્રી એ આ ફરિયાદોને સંવેદનશીલતા સાથે મૂલવી અને બિલ ચેકીંગ કમિટી દ્વારા ચકાસણી કરાવી લગભગ ૧૩ જેટલી સંસ્થાઓ પાસે થી,સમુચિત હસ્તક્ષેપ અને સંવાદ કરીને ૧૯ થી વધુ દર્દીઓને અથવા તેમના પરિવારોને રૂ.૫,૯૯,૫૮૧ જેટલી રકમ પરત અપાવી છે. મોટે ભાગે વહીવટી ચાર્જ, એક્સ્ટ્રા ચાર્જ, દવાઓની કિંમત જેવી બાબતોમાં વધુ ભાવ લેવાતાં હોવાનું અત્યાર સુધીના કિસ્સાઓમાં ધ્યાને આવ્યું છે. ૧૯ જેટલા ફરિયાદીને ચકાસણી અને યોગ્ય હસ્તક્ષેપથી જ્યુપીટર, સત્યમ, સવિતા, શ્રીજી, શુકન, સ્ટર્લિંગ, યુનિટી, રામકૃષ્ણ ટ્રસ્ટ હોસ્પિટલો અને એક લેબ પાસેથી આકારેલા બિલમાં કુલ રૂ.૪,૯૪,૫૮૧ ઓછા કરાવી રાહત અપાવી છે. આ ઉપરાંત અન્ય કેટલાક કેસોમાં ખાનગી હોસ્પિટલના તંત્ર વાહકો સાથે ટેલિફોનિક વાતચીત કરીને રૂ.૧.૦૫ લાખ જેટલી રાહત અપાવી છે. આમ, આ પ્રયાસોથી કોરોના સંકટમાં સપડાયેલા પરિવારોને સારવારના બિલમાં રૂ.૫,૯૯,૫૮૧ ઓછા કરાવી રાહત અપાવી શક્યાનો આનંદ છે.

ઓકસીજન પુરવઠાની અછત નહિ સર્જાય

હાલમાં દવાખાનાઓમાં ઓકિસજન પુરવઠાની અછત સર્જાશે એવી આશંકા વ્યક્ત કરતા અહેવાલો માધ્યમોમાં ફરી રહ્યાં છે.તેના અનુસંધાને નર્મદા વિકાસ રાજ્ય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું છે કે, વડોદરાની હોસ્પિટલોમાં ઓકિસજન પુરવઠાની કોઈ તકલીફ નહિ સર્જાય. રિલાયન્સ સાથે ઉચિત સંકલન કરવામાં આવ્યું છે અને ઓકિસજન પુરવઠો જળવાઈ રહેશે એટલે લોકો આ બાબતમાં આશ્વસ્ત રહે.